રાજ્યમાં 21મા શાળા પ્રવેશોત્સવમાં અંદાજે 32.33 લાખ બાળકોનો શાળા પ્રવેશોત્સવ થશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં શાળા પ્રવેશોત્સવ 26 જૂન થી શુક્રવાર તા.28 જૂનના દિવસો દરમિયાન યોજવામાં આવશે.
શાળા પ્રવેશોત્સવ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રથમ દિવસે બુધવાર તા. 26મી જૂને વનવાસી ડાંગ જિલ્લાના સરહદી ગામ બિલિઆંબાની શાળામાં બાળકોનું શાળા નામાંકન કરાવશે. મુખ્યમંત્રી બિલિઆંબા પ્રાથમિક શાળામાં ૨૪ બાળકોને ધોરણ-1માં, 21 બાળકોને બાલવાટિકામાં અને 7 ભૂલકાંઓને આંગણવાડીમાં પ્રવેશ અપાવશે.
મુખ્યમંત્રી બીજા દિવસે તા. 27 જૂનના છોટાઉદેપુર તાલુકામાં અને અંતિમ દિવસ તા. 28 જૂને સુરેન્દ્રનગર જિલ્લાના થાન તાલુકામાં શાળા પ્રવેશોત્સવમાં સહભાગી થવાના છે.
રાજ્યમાં અંતરિયાળ ગામો સુધી શિક્ષણની જ્યોત પ્રજ્વલિત કરવાના આ શિક્ષણ સેવા યજ્ઞમાં વિધાનસભા અધ્યક્ષશ્રી સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ તેમજ IAS, IPS, IFS સહિત વર્ગ-1ના કુલ મળીને 367 ઉચ્ચ અધિકારીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત રહી બાળકોનો શાળા પ્રવેશ કરાવશે.
વિધાનસભા અધ્યક્ષ અને અન્ય મંત્રીઓ જે સ્થળોએથી શાળા પ્રવેશોત્સવ કરાવશે તેમાં, ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શંકર ચૌધરી બનાસકાંઠા જિલ્લામાં, નાણાં મંત્રી કનુ દેસાઈ વલસાડ જિલ્લામાં, આરોગ્ય અને ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ મહેસાણા જિલ્લામાં, કૃષિ અને ગ્રામ વિકાસ મંત્રી રાઘવજી પટેલ રાજકોટ જિલ્લામાં, ઉદ્યોગ તથા શ્રમ અને રોજગાર મંત્રી બલવંત રાજપૂત પાટણ જિલ્લાના સિદ્ધપુર અને સરસ્વતી તથા બનાસકાંઠાના પાલનપુર ખાતે, જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા ભાવનગર જિલ્લામાં, પ્રવાસન મંત્રી મુળુ બેરા જામનગર જિલ્લા ખાતે, આદિજાતિ મંત્રી કુબેર ડીંડોર મહીસાગર જિલ્લામાં અને મહિલા તથા બાળકલ્યાણ મંત્રી ભાનુ બાબરીયા નર્મદા જિલ્લા ખાતે પ્રવેશોત્સવમાં સહભાગી થશે.
રાજ્યકક્ષાના મંત્રીઓમાં, ગૃહ અને રમતગમત મંત્રી હર્ષ સંઘવી સુરતમાં, સહકાર અને લઘુ ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ખેડા જિલ્લા ખાતે, મત્સ્યોદ્યોગ અને પશુપાલન મંત્રી પરષોતમ સોલંકી ભાવનગર જિલ્લામાં, પંચાયત અને કૃષિ મંત્રી બચુ ખાબડ દાહોદ જિલ્લામાં, વન અને પર્યાવરણ મુકેશ પટેલ સુરત અને નવસારી ખાતે, શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા જૂનાગઢમાં, આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ તાપી જિલ્લા ખાતે શાળા પ્રવેશોત્સવમાં જોડાશે.
રાજ્યમાં આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમિયાન કુલ 32.33 લાખ બાળકોનું શાળા નામાંકન કરવામાં આવશે. તેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર 11.73 લાખ, ધોરણ-1માં પ્રવેશપાત્ર 3.62 લાખ, ધોરણ-8 થી 9માં પ્રવેશપાત્ર 10.35 લાખ અને ધોરણ-10 થી 11માં પ્રવેશપાત્ર 6.61 લાખ વિદ્યાર્થીઓને શાળા પ્રવેશોત્સવમાં પ્રવેશ અપાશે.
