રાજ્ય સ્વાગત 2026: નાગરિકોના પ્રશ્નોના નિરાકરણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વહીવટી તંત્રને સ્પષ્ટ સૂચના
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એપ્રિલ-2026ના રાજ્ય સ્વાગતમાં આવેલી રજૂઆતો રૂબરૂ સાંભળીને નાગરિકોના પ્રશ્નોનું સમયમર્યાદામાં ન્યાયિક અને તટસ્થ રીતે નિરાકરણ માટે જિલ્લા તંત્ર વાહકોને સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. દર મહિને યોજવામાં આવતા સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના ઉપક્રમમાં એપ્રિલ-2026ના રાજ્ય સ્વાગતમાં રાજ્યભરમાંથી 110થી વધુ રજૂઆતકર્તાઓ પોતાની રજૂઆતો સાથે ઉપસ્થિત રહ્યા હતા. એટલું જ નહીં, રાજ્યમાં જિલ્લા સ્વાગતમાં કુલ 1335 રજૂઆતો અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મુખ્યમંત્રીએે પંચેમહાલ જિલ્લામાં ખેતીની જમીનની વેચાણ હેતુ પરવાનગી મેળવવા માટે iORA પોર્ટલમાં અરજી કરી હતી. આ અરજી અધિકારીઓ એક બીજાને ટ્રાન્સફર કરતા રજૂઆતકર્યાની અરજીનો લાંબા સમય સુધી નિકાલ ન થવાના કારણે મુખ્યમંત્રીએ ગંભીર નોંધ લઊ ઓનલાઇન સિસ્ટમની ખામીને કારણે લોકો હેરાન થાય તે જોવા જિલ્લા કલેક્ટરને સ્પષ્ટ સૂચના આપી હતી.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં કરજણ જળાશય યોજના અંતર્ગત સંપાદિત થયેલ જમીનનો એવોર્ડ મંજૂરી થયા બાદ લાંબા સમય સુધી વળતર ન મળવા અંગે ખેડૂતે રજૂઆત કર હતી. આ રજૂઆત સંદર્ભે મુખ્યમંત્રીએ સંવેદના દાખવી ખેડૂતને તાત્કાલિક ધોરણે 10 દિવસમાં વળતર ચૂકવવા અને વળતર ચૂકવવામાં વિલંબ કરનાર જવાબદારો સામે એક્શન લેવા આદેશ કર્યો હતો.
અન્ય એક રજૂઆતમાં લોકોને નકલી ડોક્યુમેન્ટ બતાવીને નાણાકીય છેતરપિંડી આચરતા અસામાજિક તત્વો સામે કડક હાથે કામ લેવા મુખ્યમંત્રીએ પોલીસ તંત્રને આદેશ આપ્યા હતા.
આ ઉપરાંત મહેસાણા જિલ્લામાં રીસર્વે પ્રમોલગેશનમાં ખેતીની જમીનમાં ક્ષેત્રફળમાં થયેલ ઘટાડા માટે જમીનની માપણી અને માપણી થયા બાદ રેકોર્ડમાં સુધારા અંગે ખેડૂતોની સામૂહિક રજૂઆતો મળતા મુખ્યમંત્રીએ આવા ખેડૂતોની સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ કરવા જિલ્લા કલેક્ટરને સૂચના આપી હતી.
આ સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્ય વહીવટી તંત્રને સુચના આપતાં કહ્યુ કે, પોતાના ટેબલ પરથી ફાઈલ બીજા ટેબલ પર જાય એટલે પોતાની જવાબદારી પુરી કરવાને બદલે લોકોના પ્રશ્નોનો આખરી નિકાલ ન આવે ત્યાં સુધી જવાબદેહીતા દાખવી, પ્રશ્નોનો આખરી નિકાલ કરવો જોઈએ.
એપ્રિલ-2026ના આ રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના અગ્ર સચિવ સંજીવ કુમાર, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ ડૉ. વિક્રાંત પાંડે અને સચિવ ડૉ. અજય કુમાર તથા ખાસ ફરજ પરના અધિકારી ડી. કે. પારેખ, રાકેશ વ્યાસ અને સંબંધિત વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ તથા સંબંધિત જિલ્લાઓના કલેક્ટર, એસ.પી., ડી.ડી.ઓ. જોડાયા હતા.
