રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કર્યા પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનાં દર્શન: દેશના કલ્યાણ માટે કરી પ્રાર્થના
Live TV
-
ગાંધીનગર : 10 ઓક્ટોબર, શુક્રવારના રોજ ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ગુજરાતની ત્રણ દિવસીય મુલાકાતના ભાગરૂપે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દર્શને પહોંચ્યા હતા. રાષ્ટ્રપતિએ ભક્તિભાવપૂર્વક ભગવાન ભોળાનાથનાં દર્શન અને પૂજન કરીને દેશના નાગરિકોના જનકલ્યાણ અને સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી.
સોમનાથ ખાતેના તેમના કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ મુર્મુએ દ્વાદશ જ્યોતિર્લિંગોમાંના પ્રથમ જ્યોતિર્લિંગ સમક્ષ ગંગાજળ અર્પણ કર્યું. તેમણે દિવ્ય મંત્રોચ્ચાર અને પૂજા વિધિ વચ્ચે સોમેશ્વર મહાપૂજા કરી હતી અને આ દિવ્યતાનો અનુભવ કરીને ધન્યતા વ્યક્ત કરી હતી.
આધ્યાત્મિક શ્રદ્ધા, ભવ્યતા અને દિવ્યતાના પ્રતીક સમાન આ મંદિરમાં રાષ્ટ્રપતિના આગમન પૂર્વે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ મંદિર પરિસરમાં ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી, જેઓ આ મંદિરના પુનઃનિર્માણમાં મુખ્ય ભૂમિકામાં હતા.
મહાનુભાવો દ્વારા સ્વાગત
રાષ્ટ્રપતિ મુર્મુ જ્યારે સોમનાથ મંદિર પરિસર પહોંચ્યા ત્યારે ગુજરાતના પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જેમાં રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ પી.કે. લહેરી, ટ્રસ્ટી જે.ડી. પરમાર અને ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ સહિત અન્ય મહાનુભાવોએ તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે રાષ્ટ્રપતિ સાથે તેમની પુત્રી ઇતિશ્રી મુર્મુ અને અન્ય ગણમાન્ય વ્યક્તિઓ પણ હાજર રહ્યાં હતાં.
સૌરાષ્ટ્ર પ્રવાસનું આગામી આયોજન
સોમનાથ મહાદેવના દર્શન બાદ રાષ્ટ્રપતિ મુર્મુ સાસણ ગીર તરફ રવાના થયા હતા, જ્યાં તેઓ ગીર રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લેશે અને સ્થાનિક આદિવાસી સમુદાયના લોકો સાથે વાર્તાલાપ પણ કરશે. તેઓ રાત્રિ રોકાણ પણ સાસણ ખાતે જ કરશે.
આ પ્રવાસના અંતિમ દિવસે, 11 ઑક્ટોબરના રોજ, રાષ્ટ્રપતિ દ્વારકામાં દ્વારકાધીશ મંદિરનાં દર્શન કરશે અને ત્યારબાદ અમદાવાદ જઈને ગુજરાત વિદ્યાપીઠના 71મા પદવીદાન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે.
