લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટનું 150 વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલો, સુરતનો પેટીગરા પરિવાર
Live TV
-
ભારત વિશ્વમાં પોતાના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાની સાથે સાથે વિવિધ પ્રાચીન અને પારંપરિક હસ્તકળાઓ માટે પણ પ્રસિદ્ધ છે. વર્ષોથી ભારતીય હસ્તકળા સમાજની ઓળખ અને લોકજીવનની કલાત્મક અભિવ્યક્તિ પણ છે. દરેક પ્રદેશની પોતાની અનોખી હસ્તકલા હોય છે, આવી જ એક દુર્લભ, 1200 વર્ષ જૂની ગુજરાતની અને સમગ્ર ભારતની અતિ બારિકાઈ ભરેલી 'સાડેલી વુડ ક્રાફ્ટ' લુપ્ત પ્રાય અવસ્થામાં રહેલ સુરતની સાડેલી આર્ટને હસ્તકલાને સુરતના સૈયદપુરા કાછીયા શેરીમાં રહેતા પેટીગરા પરિવાર ૧૫૦ વર્ષથી જીવંત રાખી રહ્યા છે. જેમાં આજ ના પિતા-પુત્રની જોડી કુશળ કલાકાર તરીકે આ કળાને સાચવી રહ્યા છે. પોતાના નાનકડા ઘરથી સમગ્ર દેશમાં આગવી ઓળખ બનાવી રહ્યા છે. સમગ્ર દેશમાં સુરતના આ પરિવારના માત્ર બે કલાકારો આ કલાનું જતન અને સંવર્ધન કરી રહ્યા છે.
પહેલાના સમયમાં રાજા-મહારાજાઓ માટે તૈયાર થતી વિવિધ લાકડાઓમાંથી નકશીકામ અને સાડેલી વર્ક વાળી પેટીઓ આજે પણ કળાના કદરદાન લોકોને આકર્ષે છે. દેશનો એક માત્ર અને છેલ્લો સાડેલી હસ્તકલા વર્ક શોપ સુરતમાં છે, જેના મૂળમાં સુરતના જીતેન્દ્રભાઈ અને રાકેશભાઈ પેટીગરા પિતા-પુત્રની જોડી છે. સમગ્ર ભારતમાં આ કલા લુપ્ત થવાની કગાર પર છે, ત્યારે આ કલાની વિરાસતને તેઓ સાચવી રહ્યા છે.
વિશેષ વાત એ છે કે, સાડેલી આર્ટ સંપૂર્ણ સ્વદેશી છે, જેમાં ઉપયોગમાં લેવાતી તમામ સામગ્રી સ્વદેશી અને સ્થાનિક વિસ્તારની છે.
1999માં ઈન્ટિરિયર ડિઝાઈનરની નોકરી છોડીને વારસામાં મળેલી હસ્તકલાને ધબકતી રાખતા સુરતના રાકેશભાઈ પેટીગરા ગોલ્ડ મેડાલિસ્ટ ઈન્ટિરિયર ડિઝાઈનર છે. રાકેશભાઈ જણાવે છે કે, સાડેલી વુડન આર્ટ એ સુરતની ઓળખ છે જેને GI ટેગ પણ મળ્યો છે. તે ભારતની ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે અને મૂળ પર્શિયન સંસ્કૃતિની 1200 વર્ષ જૂની છે. ઈરાનથી પારસીઓ સંજાણ બંદરે આવ્યા ત્યારે તેમની સાથે આ કળાને લાવ્યા હતા. પર્શિયન લોકો સુરતમાં સ્થાળતરિત થયા ત્યારે ભારતમાં આ કળા પ્રચલિત થઈ.
સમયાંતરે કળાનો વ્યાપ સુરતના કોટ વિસ્તારમાં મર્યાદિત હતો. હજારો વર્ષ પહેલાં બારીકાઈથી થતું આ વુડન આર્ટ આજે પણ એ જ ઝીણવટભરી, બારીકાઈ અને ચોકસાઈથી થઈ રહ્યું છે. સાડેલી વુડ ક્રાફ્ટમાં લાકડાના નાના નાના ટુકડાઓના ભૌમિતિક આકારમાં જોડવામાં આવે છે, જેને પર્શિયન ખાતમકારી તરીકે પણ ઓળખાય છે એમ તેઓ જણાવે છે.
રાકેશભાઈ પેટીગરાએ જણાવ્યું હતું કે, આ કળા અમારી સાથે અને અમારા પછી પણ જીવંત રહે એ જ મારો ઉદ્દેશ છે. સાડેલી આર્ટ વ્યક્તિગત નહીં, પણ એક સામૂહિક વારસો છે, જે પેઢી દર પેઢી જીવંત રહે એ માટે પુરુષાર્થ અને સમર્પણ જરૂરી છે. કળાને જીંવત રાખવા દરેક નાગરિકોએ એક આર્ટિકલ્સ ખરીદવા અનુરોધ કર્યો હતો. વધુમાં ‘વોકલ ફોર લોકલ’ અને ‘સ્વદેશી અભિયાન’ થકી દેશી, સ્વદેશી ઉત્પાદનોને મજબૂતી આપવા પ્રયાસ થાય છે, જે અમારા જેવા હસ્તકલા કારીગરો માટે સંજીવની બનશે.
શિલ્પકાર રાકેશભાઈએ જણાવ્યું હતું કે, સુરતની આ હસ્તકલા માટે સરકાર તરફથી પિતા જીતેન્દ્રભાઈને વર્ષ 2002માં સ્ટેટ એવોર્ડ અને 2005માં રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ મળ્યો છે. મને વર્ષ 2021માં લુપ્ત થતી કળાને જીંવત રાખવા ‘કમલા’ એવોર્ડ મળ્યો છે. આ સાથે વર્ષ 2022માં રાજ્ય પુરસ્કાર અને 2023માં રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો છે. તેમજ 2024માં રાજ્ય પુરસ્કાર એનાયત થયો છે. દેશના એક માત્ર અમારા વર્ક શોપમાં સાડેલી વુડન આર્ટને જીંવત રાખવા માટે અત્યાર સુધીમાં 450થી 500 કલા રશિકોને કળાથી અવગત કર્યા છે. આ કળા પાછળ કારીગરોની વર્ષોની મહેનત, વ્યક્તિગત રસ અને ધીરજ સમાયેલા છે.
લુપ્ત થઈ રહેલી સાડેલી આર્ટને 150 વર્ષથી જતન અને સંવર્ધન કરી રહેલા આ પરિવારના રાકેશભાઈને ‘કમલા એવોર્ડ’થી પણ નવાજવામાં આવ્યા છે. તેમની કાર્યશાળામાં આજે પણ વિવિધ કુદરતી રંગીન લાકડાઓનો ઉપયોગ કરીને પરંપરાગત ડિઝાઇનથી માંડીને આધુનિક ઈન્ટિરિયર ફર્નિચર સુધી અનેક વસ્તુઓ તૈયાર થાય છે. દેશનો એક માત્ર સાડેલી હસ્તકલા વર્ક શોપમાં સચવાયેલ છે કે, જેમાં કલાકારોને તાલીમ આપવામાં આવી રહી છે.
આ પરિવાર માટે કલા એ વ્યવસાય નથી એ તો સાધના છે. જ્યારે આજે મોટા ભાગનાં યુવાન વધુ નાણા કમાવાની લ્હાયમાં અવિચારી દોટ મૂકે છે, ત્યારે પેટીગરા પરિવારની નવી પેઢીએ પણ પોતાના વડીલોના પગલે ચાલીને આ કલા સાથે પોતાના જીવનને જોડ્યું છે.
સાડેલી આર્ટ વોકલ ફોર લોકલનું ઉત્તમ ઉદાહરણ
