વંદે ભારત એક્સપ્રેસમાં રાજ્યપાલની સુરતથી અમદાવાદની સફર
Live TV
-
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સુરતથી અમદાવાદ સુધીની મુસાફરી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નં. ૨૨૯૬૧) દ્વારા કરી હતી.
રાજ્યપાલે સુરતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ સાંજના સમયે વંદે ભારત એક્સપ્રેસ દ્વારા અમદાવાદ તરફ મુસાફરી કરી હતી. તેમણે અગાઉ પણ અમદાવાદથી સુરતની મુસાફરી આ જ ટ્રેન દ્વારા કરી હતી. તેમણે હમણાં જ ગાંધીનગરથી આણંદ સુધીની યાત્રા ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ દ્વારા કરી હતી. રાજ્યપાલ નાગરિક પરિવહન સેવાઓનો માત્ર ઉપયોગ જ નથી કરતા, પરંતુ તેને પ્રોત્સાહન પણ આપે છે. તેમનું મંતવ્ય છે કે, “સામાન્ય પરિવહન સેવા દ્વારા મુસાફરી કરવાથી સામાન્ય નાગરિકો સાથે સીધો સંવાદ શક્ય બને છે. તેમની વાતો સાંભળવાની અને સમજવાની તક મળે છે.”
રેલ યાત્રા દરમિયાન રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે સહયાત્રીઓ સાથે હ્રદયપૂર્ણ સંવાદ કર્યો હતો, બાળકો સાથે સ્નેહભરી વાતો કરી અને વરિષ્ઠ નાગરિકોના પણ ક્ષેમકુશળની પૃચ્છા કરી હતી. તેમણે કહ્યું કે, રેલયાત્રા ફક્ત મંજિલ સુધી પહોંચવાનો ઉપાય માત્ર નથી, પરંતુ ‘જનતાના મન સુધી પહોંચવાનો એક સરળ માર્ગ’ બની રહે છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતનો આ વ્યવહાર રાજ્યપાલ પદના સંવિધાનિક ગૌરવને નવી ઊંચાઈ તો આપે જ છે, પરંતુ સામાન્ય જનતામાં આત્મીયતા, વિશ્વાસ અને પોતાનાપણાની લાગણીને પણ ઉત્તેજન આપે છે.
