વરસાદથી અસરગ્રસ્ત માર્ગોનું કરાયું સામારકામ, મેટલ તથા ડામર પેચવર્ક કરાયું
Live TV
-
રાજ્યમાં ચોમાસા દરમિયાન ભારે વરસાદથી હાઈવે અને ગ્રામીણ તથા શહેરી માર્ગોને જ્યાં નુકસાન થયેલું છે, ત્યાં રોડ રિપેરિંગ અને પેચવર્ક કરીને રસ્તાઓને પુનઃ પૂર્વવત્ બનાવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા વિવિધ તાલુકાઓમાં અત્યાર સુધીમાં કુલ આશરે ૩૪ કિમીથી વધુ લંબાઈના માર્ગોનું મેટલ પેચ તથા ડામર પેચવર્ક કરવામાં આવ્યું છે.
રાજ્યના વિકાસની ધોરી નસ અને નાગરિક જીવનમાં રોજિંદા યાતાયાત માટે અતિ મહત્ત્વના એવા રોડ નેટવર્કની તત્કાલ મરામત હાથ ધરવાના દિશાનિર્દેશો અને સૂચનાઓ મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબંધિત વિભાગો અને તમામ જિલ્લાના વહીવટી તંત્રને આપવામાં આવી છે.
અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ(રાજ્ય) દ્વારા વરસાદ વગરનો કે ઓછો વરસાદ હોય તેવો એક પણ દિવસ વ્યર્થ ન જાય અને રજાનો દિવસ હોય, તોપણ રિપેરિંગ કામગીરી ચાલુ રાખીને ક્ષતિગ્રસ્ત માર્ગોની મરામત કરવામાં આવી રહી છે.
જે અંતર્ગત જિલ્લાના વિવિધ તાલુકાઓમાં કુલ 49.25 કિમી લંબાઈના માર્ગો ક્ષતિગ્રસ્ત થયા હતા. જેમાંથી 28.25 કિમી રસ્તાનું મેટલ પેચથી, જ્યારે ૬ કિમી રસ્તા પર ડામર પેચવર્ક કરવામાં આવ્યું છે.
આ તમામ કામો ગુણવત્તાયુક્ત થાય તે સુનિશ્ચિત કરવા અને વિવિધ વિભાગો સાથે સંકલન સાધીને ટીમવર્કથી કામગીરી માટે જિલ્લા કલેક્ટરશ્રી કક્ષાએથી સૂચનાઓ આપવામાં આવી છે.
