વાજબી ભાવની દુકાન ધરાવતા દુકાનદારોને કમિશનમાં ઘટતી રકમનો વધારાનો બોજો રાજ્ય સરકાર ઉઠાવશે
Live TV
-
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં સરકાર માન્ય સસ્તા અનાજના દુકાનધારકોની સસ્ટેઈનેબિલિટી માટે ઐતિહાસિક અને સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે.
અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, NFSA રેશનકાર્ડની સંખ્યા 300 થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ 20,000/- રૂ. થી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવ્ચો છે.
મંત્રીઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરના વાજબી ભાવના દુકાનદારો દ્વારા નાગરિકોના હિતમાં આગામી તહેવારોને ધ્યાને રાખીને આજથી જ સસ્તા અનાજના જથ્થાનું વિતરણ નિયમિત રીતે ચાલુ કરવામાં આવશે. આવતીકાલ રવિવારે પણ દુકાનદારો અનાજ વિતરણની કામગીરી ચાલુ રાખે તેવી અપીલ પણ તેમણે કરી તેનો સૌ દુકાનદારોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો.
રાજ્યના આવા દુકાનદારોને માસિક રૂ. 20,000 ની આવક થઈ શકે તે માટે દુકાનદારોને મળતા કમિશનમાં રાજ્ય સરકાર તરફથી રૂ. 20,000/- સામે પડતી ફક્ત ઘટતી રકમ પુરતો વાર્ષિક ખર્ચ 35.53 કરોડ રૂ.નો વધારાનો બોજો રાજ્ય સરકાર વહન કરશે તેમ પણ મંત્રીએ ઉમેર્યું હતું.