વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા રાજ્ય સરકારની નવતર પહેલ
Live TV
-
ધો.10 તથા ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના નાપાસ અથવા ઓછા ગુણ પ્રાપ્ત કરેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી, મુખ્ય અથવા પૂરક પરીક્ષા તે બે માંથી જે પરિણામ શ્રેષ્ઠ હશે તે પ્રમાણપત્ર આપવામાં આવશે
‘Best Of Two Exam’ થકી રાજ્યના વિદ્યાર્થીઓને મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામમાંથી જે પરિણામ શ્રેષ્ઠ વધુ હશે તે પરિણામ ગ્રાહ્ય રાખવામાં આવશે. વિદ્યાર્થીઓના આત્મબળ વધારવાના આ નિર્ણયથી વર્ષ-2024માં રાજ્યના ધોરણ-10માં નાપાસ થયેલા અંદાજિત કુલ 1.28 લાખથી વધુ વિદ્યાર્થીઓ અને ધોરણ -૧૨માં વિજ્ઞાન પ્રવાહના 26 હજારથી વધુ તેમજ સામાન્ય પ્રવાહના ૫૬ હજારથી વધુ વિદ્યાર્થીઓ મળીને કુલ 2.11 લાખથી વધુ નાપાસ વિદ્યાર્થીઓને લાભ મળશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે કે, આ નિર્ણયથી માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- 10 અને ઉચ્ચતર માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ- ૧ર તમામ પ્રવાહના ઉમેદવારોને તમામ વિષયોની બોર્ડ નક્કી કરે તે માસમાં યોજાનારી પૂરક પરીક્ષા આપી પરિણામ સુધારવાની તક મળી શકશે, તેમજ ઉમેદવારે મેળવેલ મુખ્ય પરીક્ષા અને પૂરક પરીક્ષાના પરિણામ માંથી જે પરિણામ શ્રેષ્ઠ (Best of Two) હશે તે પરિણામ માન્ય-ગ્રાહ્ય રાખવામાં આવશે, આ ઉપરાંત કોઈ વિદ્યાર્થીનો પરીક્ષામાં સારા પરિણામ આવ્યા છતાંય બીજી વાર પૂરક પરીક્ષા આપવા ઈચ્છે અને જો તેનો પરિણામ ઓછો આવે તો પણ તેના બે પરિણામો માંથી વધુ પરિણામની માર્કશીટ આપવામાં આવશે, તેમજ કોઈ પણ વિદ્યાર્થીએ જે તે વર્ષની મુખ્ય પરીક્ષા આપી ન હોય તો તે ઉમેદવાર પૂરક પરીક્ષામાં બેસી શકશે નહિ.
રાજ્ય સરકારના ‘વિદ્યાર્થી હિતલક્ષી’ આ નિર્ણયથી રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટશે તેમજ જે વિદ્યાર્થીઓ પરીક્ષામાં નાપાસ થયા હોય તથા પ્રથમ વખતે સારું પરિણામ કોઈ કારણસર ન લાવી શકયા હોય તેવા વિદ્યાર્થીઓને Best of Two Exam પૂરક પરીક્ષાના માધ્યમથી બીજી સોનેરી તક મળશે.
