શહેરી વિકાસના 20 વર્ષ : મુખ્યમંત્રીનો‘ઈઝ ઑફ લિવિંગ’માટે સતત પ્રયાસ
Live TV
-
ગુજરાત 2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન 2005ને પહેલી વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવ્યો હતો
ત્યારથી શરૂ થયેલી રાજ્યની શહેરી વિકાસ યાત્રાને આજે 20 વર્ષ પૂરા થઈ ચુક્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાવેલી શહેરી વિકાસ યાત્રાને વઘુ વેગથી આગળ ધપાવવા સંકલ્પબદ્ધ છે અને એટલે જ તેમણે 20 વર્ષ બાદ 2025ને પુનઃ એક વાર શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરી છે. એટલું જ નહીં; મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ‘‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’’ (એસજેએમએસવીવાય) હેઠળ રાજ્યના નાના-મોટા તમામ શહેરોના નાગરિકો માટે ‘ઇઝ ઑફ લિવિંગ’ના સતત પ્રયત્ન કરી રહ્યા છે.
ગુજરાત જ્યારે વર્ષ 2010માં પોતાની સ્થાપનાની સુવર્ણ જયંતી ઉજવી રહ્યુ હતું, ત્યારે તે વખતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ 2009-10માં ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ લાગુ કરી હતી અને આ યોજના વડે રાજ્યના મોટા નહીં, પણ નાના શહેરોના વિકાસને પણ મોટો વેગ આપવાનો પ્રયત્ન કર્યો હતો.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ શહેરી નાગરિકોનાં ઈઝ ઑફ લિવિંગમાં વધારો કરવા સતત અને ખુલ્લા મને નાણા ફાળવતા આવ્યા છે. એટલું જ નહીં; મુખ્યમંત્રી શહેરી વિકાસ માટેની નાણાકીય ફાળવણીમાં નાના શહેરો પર ખાસ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે આજે રાજ્યના મોટા-મોટા શહેરોની જેમ નાના શહેરોમાં પણ વિકાસનો ધમધમામટ છે.
રાજ્ય સરકારે ‘‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’’ વડે ખાસ તો નાના શહેરોમાં પાયાના સ્તરની જન સુવિધાઓ ઊભી કરવા માટે ખાસ પ્રયત્ન કર્યા છે. તેના પગલે આજે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ રાજ્યના નાના શહેરો માટે ‘મોટી સરકાર’ બની ગઈ છે. આ યોજના હેઠળ રાજ્ય સરકારે વર્ષ 2014-15થી 2024-25 એટલે કે છેલ્લા 10 વર્ષમાં રૂ. 3924.97 એટલે કે અંદાજે રૂ. 4 હજાર કરોડના ખર્ચે જળ વ્યવસ્થાપન તથા ભૂગર્ભ ગટર યોજના જેવી પાયાની સુવિધાઓના કાર્યો શરૂ કર્યા હતા. તેમાંથી રૂ. 2526.98 કરોડના કાર્યો પૂર્ણ થતાં અનેક નાના શહેરોના નાગરિકો માટે પાણી-ગટર જેવી પાયાની સુવિધાઓ સુલભ બની છે અને તેમના ઈઝ ઑફ લિવિંગમાં વધારો થયો છે. હાલમાં પણ રાજ્યના 54 શહેરોમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પાણી પુરવઠા તથા ભૂગર્ભ ગટર યોજનાના રૂ. 1398.19 કરોડના કામો પ્રગતિ હેઠળ છે.નોંધનીય છે કે ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ના અમલીકરણ માટે અલગ-અલગ નોડલ એજન્સીઓને કામગીરી સોંપવામાં આવી છે અને તેમાંની એક નોડલ એજન્સી છે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપની (જીયુડીસી) કે જેને નાના શહેરોની કામગીરી સોંપવામાં આવી છે.
