સુરત: પૂર પ્રભાવિત 6 તાલુકાના 2877 લોકોમાં રૂ.65 લાખ કેશડોલ્સ-ઘરવખરી નુકસાની સહાય અપાઈ
Live TV
-
સુરત શહેરમાં અને તેના આજુબાજુના વિસ્તારોમાં સર્જાયેલી પૂરની પરિસ્થિતિને ધ્યાને રાખીને, રાજ્ય સરકારના દિશા-નિર્દેશો અનુસાર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત નાગરિકોને ત્વરિત આર્થિક રાહત આપવાની કામગીરી અત્યંત વેગવંતી બનાવવામાં આવી છે. સુરત જિલ્લા કલેક્ટર તેજસ પરમારના માર્ગદર્શન હેઠળ 11 જુલાઈના રોજ શહેરના છ અસરગ્રસ્ત તાલુકાઓમાં કુલ 2877 લાભાર્થીઓને કુલ રૂ.65.21 લાખથી વધુની આર્થિક સહાય પેટે કેશડોલ્સ તેમજ ઘરવખરી નુકસાનીની સહાય ચૂકવવામાં આવી છે.
આ કામગીરી અંતર્ગત સાંજના 6 વાગ્યા સુધીમાં શહેરના 6 અસરગ્રસ્ત તાલુકા વિસ્તારોમાં કુલ 1918 લાભાર્થી કુટુંબોને ત્વરિત આર્થિક રાહત પૂરી પાડવા માટે રૂ.17.26 લાખથી વધુની કેશડોલ્સ સહાય ચૂકવવામાં આવી છે. તાલુકાવાર વિગતો જોઈએ તો, કતારગામ તાલુકામાં 84 અસરગ્રસ્તોને રૂ.75,600, મજુરા તાલુકામાં 86 લાભાર્થીઓને રૂ.77,400 તેમજ અબ્રામા તાલુકામાં 82 લાભાર્થીઓને રૂ. 73,800 ચૂકવાયા છે.
સૌથી વધુ સહાય ઉધના તાલુકામાં 1,666 અસરગ્રસ્તોને રૂ.14.99 લાખથી વધુની રોકડ કેશડોલ્સ સહાય ચૂકવીને પૂરપીડિતોને આફતના સમયે મોટી રાહત આપવામાં આવી છે. વિશેષ રૂપે, 11 જુલાઈએ દિવસ દરમિયાન સર્વેની કામગીરીની સાથે-સાથે વહીવટી તંત્ર દ્વારા ઘરવખરી સહાય પણ ચૂકવવામાં આવી છે.
11 જુલાઈના રોજ સાંજેના 6 વાગ્યા સુધીમા 959 અસરગ્રસ્ત લાભાર્થીઓને તેમના ઘરના સામાન અને ઘરવખરીના નુકસાનના વળતર પેટે કુલ રૂ.47,95,000ની રોકડ રકમનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં કતારગામ તાલુકામાં 42 પરિવારોને રૂ.2.10 લાખ, મજુરા તાલુકામાં 43 પરિવારોને રૂ.2.15 લાખ, અબ્રામા તાલુકામાં 41 પરિવારોને રૂ.2.05 લાખ અને મુખ્ય અસરગ્રસ્ત એવા ઉધના તાલુકામાં 833 પરિવારોને રૂ.41.65 લાખની ઘરવખરી સહાય ચૂકવવામાં આવી છે. હજુ પણ સર્વેની કામગીરી ચાલી રહી છે.
