સૌરાષ્ટ્ર પરિક્ષેત્રનો‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’તૈયાર કરવા વર્કશોપ યોજાયો
Live TV
-
આજરોજ મહાનગરપાલિકા સભાખંડ ખાતે સૌરાષ્ટ્ર પરિક્ષેત્રનો ‘ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન’ તૈયાર કરવા હેતુસર સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લા વહીવટીતંત્રના વરિષ્ઠ અધિકારીઓ અને ઉદ્યોગ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્કશોપમાં જિલ્લા કલેકટર કે. એસ. યાજ્ઞિકે જણાવ્યું હતું કે, ભાવિ વિકાસનો માસ્ટર પ્લાન માત્ર એક ડોક્યુમેન્ટ નથી, પરંતુ જિલ્લાના ઈકોનોમિક લેન્ડસ્કેપમાં મોટું પરિવર્તન લાવી શકે એવું કમિટમેન્ટ છે. તેમાં વિકાસના પાયા સમાન સસ્ટેનેબલ એગ્રીકલ્ચર, રિયલ એસ્ટેટ, ટુરિઝમ, લોજિસ્ટિક્સ વગેરે સેક્ટરના વિકાસની સંભાવનાઓ પણ ઉજાગર થાય છે. વધુમાં તેમણે, સુરેન્દ્રનગર જિલ્લામાં ઉદ્યોગ ક્ષેત્રે રહેલી વિપુલ તકો વિશેની વિસ્તૃત જાણકારી આપી હતી. ગ્રામ્ય અર્થતંત્રમાં ખુબજ પાયાની ભૂમિકામાં મદદરૂપ સુરેન્દ્રનગર જિલ્લાની ઓળખ સમી ટાંગલિયા કળા, પટોળા, બાંધણી સહિતની પ્રાચીન હસ્તકળાઓ અને જિલ્લાના વિકાસમાં તેના ફાળા અંગેની વિસ્તૃત ચર્ચા કરી હતી.
તદુપરાંત સમગ્ર રાજ્યમાં સૌથી વધુ નર્મદાનું પાણી સુરેન્દ્રનગર જિલ્લાને મળે છે એમ કહેતા વધુમાં ઉમેર્યું હતું કે, આજે જિલ્લામાં સિંચાઈ માટેની પુરતી સગવડો મળતા કૃષિક્ષેત્રે સુરેન્દ્રનગર જિલ્લો અગ્રેસર બન્યો છે. જિલ્લાના ખેડૂતો અંજીર, દાડમ, કેરી જેવા બાગાયતી પાકોની ખેતી કરતા થયા છે. રાજ્ય સરકાર અને આત્માના સહયોગથી જિલ્લામાં 41000 જેટલા ખેડૂતોએ પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે. આ ઉપરાંત જિલ્લામાં સિરામિક ઉદ્યોગોનો ખુબ વિકાસ થયો છે. સિરામિકના ઉત્પાદનોની શ્રીલંકા, બાંગ્લાદેશ જેવા દેશોમાં નિકાસ પણ થાય છે. ઉચ્ચ ગુણવત્તા વાળા કપાસનું સૌથી વધુ ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં થતું હોવાથી ટેક્સટાઈલ ક્ષેત્રે પણ ઘણી વિકાસની તકો રહેલી છે.
વિકાસના માર્ગે આગળ વધી રહેલા સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ પણ વિકાસની ઘણી સંભાવનાઓ રહેલી છે. જે માટે રાજ્ય સરકાર અને જિલ્લાનાં તમામ લોકોને સાથે રાખીને વિકાસના ઉચ્ચતમ શિખરે લઈ જવામાં આવશે. આ તકે બોટાદ જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુડાનિયાએ બોટાદ જિલ્લામાં ઉદ્યોગ ક્ષેત્રે રહેલી તકો, સમસ્યાઓ, નિવારણો અંગે વિસ્તૃત સમજ આપી હતી. ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’નો લક્ષ્યાંક સિદ્ધ કરવા માટે આ ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન ખુબ જ ઉપયોગી સાબિત થશે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.સુરેન્દ્રનગર અને બોટાદ જિલ્લાના ઉદ્યોગ અગ્રણીઑ GRITના પ્રતિનિધિઓ સમક્ષ જિલ્લાના વિકાસ માટેના વિવિધ સૂચનો રજુ કર્યા હતા. જેને GRITની ટીમે શાંતિપૂર્વક સાંભળી સરકારમાં યોગ્ય રજૂઆત અંગે ખાતરી આપી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજય ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન સંસ્થા (GRIT)ને રાજયના વિકાસલક્ષી યોજનાઓને વિકસિત ગુજરાત @2047 વિઝન સાથે સંરેખિત કરવાની કામગીરી સોંપવામાં આવી છે. રાજય સરકાર દ્વારા રાજયના તમામ જિલ્લાઓને આવરી લેતા છ આર્થિક ક્ષેત્રો નક્કી કરવામાં આવ્યા છે તેમજ દરેક આર્થિક ક્ષેત્ર માટે “વિકસિત ગુજરાત @2047 ના મુખ્ય ઉદ્દેશોને ધ્યાને લઈને ક્ષેત્રીય આર્થિક યોજના Economic Master Plan (EMP) તૈયાર કરવાની કામગીરી GRITને સોંપવામાં આવી છે. PWC એજન્સી એ એક કન્સલ્ટન્ટ તરીકે GRIT માં Saurashtra Economic Region(SaER)માં સમાવિષ્ટ બોટાદ, જામનગર, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓના Economic Master Plans (EMPs) તૈયાર કરવા સંલગ્ન કામગીરી કરી રહી છે. ઈકોનોમિક ડેવલપમેન્ટ પ્લાનમાં આર્થિક, સામાજિક, ઔદ્યોગિક, શૈક્ષણિક, રોડ કનેક્ટિવિટીના વિવિધ વિકાસલક્ષી માપદંડોનો સમાવેશ કરવામાં આવ્યો છે. વર્કશોપમાં નિવાસી અધિક કલેકટર રાજેન્દ્ર ઓઝા, નાયબ મ્યુનિસિપલ કમિશનર એસ. કે. કટારા સહીત બોટાદ અને સુરેન્દ્રનગર જિલ્લાના સંબધિત અધિકારીઓ, અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.