સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 'વંદે માતરમ્' યાત્રા અને ડ્રોન શોનું ભવ્ય આયોજન
Live TV
-
સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા 'વંદે માતરમ્' યાત્રા અને ડ્રોન શોનું ભવ્ય આયોજન
શહેરના આંગણે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા આયોજિત 'વંદેમાતરમ-દેશ કી ધડકન' કાર્યક્રમ અંતર્ગત ભાવનગર નગરજનોમાં અભૂતપૂર્વ દેશભક્તિનો જુવાળ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને નાગરિકોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમે સમગ્ર શહેરને રાષ્ટ્રપ્રેમના રંગે રંગી દીધું હતું.
ભવ્ય વંદે માતરમ્ યાત્રા
કાર્યક્રમની શરૂઆત કાળિયાબીડ પાણીની ટાંકીથી કરવામાં આવી હતી. ત્યાંથી જવાહર મેદાન સુધી એક વિશાળ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં 25,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વાલીઓ ઉત્સાહભેર જોડાયા હતા. ગુરુકુળના સંતો અને અગ્રણીઓની નિશ્રામાં નીકળેલી આ યાત્રામાં 'વંદે માતરમ્' અને 'ભારત માતા કી જય' ના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.
આકાશમાં સર્જાયું અદભૂત દ્રશ્ય: 450 ડ્રોનનો શો
આ કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ રાત્રિના સમયે યોજાયેલો 450 ડ્રોનનો મેગા શો રહ્યો હતો. અત્યાધુનિક ટેકનોલોજીના માધ્યમથી આકાશમાં ડ્રોન દ્વારા વિવિધ રાષ્ટ્રભક્તિના પ્રતીકો અને આકૃતિઓ કંડારવામાં આવી હતી, જેને જોઈને ઉપસ્થિત જનમેદની મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.
સાંસ્કૃતિક ગુંજ: કીર્તિદાન ગઢવી અને સાંઈરામ દવેની જમાવટ
લોકપ્રિય કલાકાર કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર સાંઈરામ દવેએ પોતાની આગવી શૈલીમાં દેશભક્તિના ગીતો અને વાતો રજૂ કરી હતી. જવાહર મેદાન ખાતે યોજાયેલા આ ડાયરામાં ગવાયેલા વંદે માતરમ્ અને રાષ્ટ્રભક્તિના ગીતોએ શ્રોતાઓમાં જોમ ભરી દીધું હતું.
મહાનુભાવોની ઉપસ્થિતિ
આ ગૌરવવંતા અવસરે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી જીતુભાઇ વાઘાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગુરુકુળના આ પ્રયાસને બિરદાવતા જણાવ્યું હતું કે, આવા કાર્યક્રમોથી નવી પેઢીમાં રાષ્ટ્રભાવના વધુ પ્રબળ બને છે. કાર્યક્રમમાં ગુરુકુળના સંતો, સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં ભાવનગરના નગરજનો હાજર રહ્યા હતા.
