10 માર્ચથી 7 જૂન દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે : પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ
Live TV
-
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, આગામી 10 માર્ચથી 7 જૂન 2023 દરમિયાન તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરાશે. મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, વર્ષ 2022-23માં એડવાન્સ એસ્ટીમેટ મુજબ તુવેરનું 2.10લાખ હેકટર, ચણાનું 7.31 લાખ હેકટર તથા રાઈનું 3.21 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થયું છે. મંત્રી પટેલે ઉમેર્યું કે, વર્ષ 2022-23 માં તુવેર, ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી માટે ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી VCE મારફતે નોંધણી નાફેડના ઈ-સમૃધ્ધિ પોર્ટલ પર તા.01-02-2023 થી ખેડૂતોનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. જે આગામી તા.28-02-2023 સુધી ચાલુ રહેશે. 07-02-2023 સુધીમાં તુવેર પાકમાં કુલ 1431, ચણા પાકમાં 116127 તથા રાયડા પાકમાં 949 ખેડૂતોએ નોંધણી કરાવેલ છે. રાજ્ય સરકાર દ્વારા આગામી 10-03-2023 થી તા.07-06-2023 દરમિયાન ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ પણ મંત્રીશ્રએ ઉમેર્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું કે, રાજ્ય સરકાર દ્વારા રાજ્યના ખેડૂતોને આર્થિક રક્ષણ મળી રહે અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉમદા હેતુથી ચાલુ વર્ષ 2022-23માં તુવેર પાકનો ટેકાનો ભાવ 6600 પ્રતિ કિવન્ટલ, ચણાનો 5335 પ્રતિ કિવન્ટલ તથા રાઈનો ભાવ 5450 પ્રતિ કિવન્ટલ નક્કી કરવામાં આવ્યો છે. તુવેરની ખરીદી 135 કેન્દ્રો, ચણાની ખરીદી 187 કેન્દ્રો અને રાઈની ખરીદી 103 કેન્દ્રો પરથી કરાશે.