15મી જૂનથી ગુજરાતમાં થશે ચોમાસાનું આગમન
Live TV
-
હવામાન વિભાગની આગાહી જણાવે છે કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન પંદર જૂને થવાની સંભાવના છે. હાલ રાજ્યમાં પવનની દિશામાં બદલાવ આવ્યો છે, અને આગામી ત્રણ, ચાર અને પાંચ જૂન દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડવાની સંભાવના છે. તેમજ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતનાં વિસ્તારોમાં તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની શક્યતા છે, તેમ હવામાન વિભાગના નિયામક જયંતા સરકારે જણાવ્યું હતું.
રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ રાજ્યના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયા વાતાવરણથી લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. આ વચ્ચે આગામી પાંચ દિવસમાં હિટવેવની કોઇ પણ સંભાવના નહીં હોવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, જોકે આગામી ચાર પાંચ દિવસમાં દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત થોડા દિવસો માટે વાતાવરણમાં ભેજ વધશે તેમ પણ હવામાન વિભાગે જણાવ્યું હતું. હિટવેવની શક્યતા નહીં જણાતાં છેલ્લા અઠવાડિયાથી વધુ સમયથી કાળઝાળ ગરમીના પ્રકોપને કારણે શેકાતા લોકોને રાહતના સમાચાર મળ્યાં છે.
