16.65 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડ કેસમાં 8 આરોપીઓના જામીન નામંજૂર
Live TV
-
પાટણ સાયબર ક્રાઈમ પોલીસે 'ઓપરેશન મ્યુલ હન્ટ' અંતર્ગત 16.65 કરોડ રૂપિયાના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો અને 139 સાયબર ફ્રોડ કેસમાં કાર્યવાહી કરી હતી. આ કેસમાં દિનેશભાઈ ઉર્ફે બરફી જયંતીભાઈ રાવળ, કનૈયાલાલ ઉર્ફે લાલાભાઈ ભરવાડ, મનોજ ઉર્ફે મનુભાઈ નાથ, યાકુબ ઉર્ફે મુન્નો મનસૂરી, વિશાલ રાવળ, ભાર્ગવ રાજેશ પટેલ, વિજયસિંહ ઠાકોર અને રાજુજી ઠાકોરની જામીન અરજીઓ પાટણની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની અદાલતે નામંજૂર કરી છે.
આ કેસ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 317(2), 317(4), 318(4) અને 61(2) (એ) હેઠળ નોંધવામાં આવ્યો હતો. આરોપીઓએ દલીલ કરી હતી કે તેઓ નિર્દોષ છે અને તેમના બેંક ખાતાનો ઉપયોગ અન્ય લોકોએ કર્યો હતો. જોકે સરકારી વકીલ આર. પી. ઓઝાએ કોર્ટમાં રજૂઆત કરી હતી કે આરોપીઓએ આર્થિક લાભ માટે પોતાના બેંક ખાતા ભાડે આપીને ગુનાહિત કાવતરામાં ભાગ લીધો હતો.
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ નૌશાદ વી. પઠાણે નોંધ્યું હતું કે આરોપીઓના ખાતાઓ મારફતે અનેક નિર્દોષ લોકો સાથે છેતરપિંડી થઈ હતી અને જો ખાતા ભાડે આપવામાં આવ્યા ન હોત તો આ પ્રકારનો મોટો આર્થિક ગુનો અટકી શક્યો હોત. તેથી આવા આર્થિક ગુનાને હળવાશથી લઈ શકાય નહીં.
ગુનાની ગંભીરતા અને વધતા સાયબર તથા આર્થિક ગુનાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે તમામ સંજોગોનું મૂલ્યાંકન કર્યા બાદ આઠેય આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરવાનો હુકમ કર્યો હતો.
