30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન સતર્કતા જાગૃતિ સપ્તાહ; રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે શપથ લેવડાવ્યા
Live TV
-
'અમે પ્રત્યેક ક્ષેત્રે અમારું કર્તવ્ય પૂરી પ્રમાણિકતા અને પારદર્શિતાથી નિભાવીશું. અમે જીવનના દરેક ક્ષેત્રમાંથી ભ્રષ્ટાચાર દૂર કરવા અથાગ પ્રયત્નો કરવાનો સંકલ્પ લઈએ છીએ.' રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આજે સતર્કતા જાગૃતિ સપ્તાહના શુભારંભે રાજભવન પરિવારના સૌ સભ્યોને શપથ લેવડાવ્યા હતા.
સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી થાય છે. આ વર્ષે તા. 30 ઓક્ટોબરથી 5 નવેમ્બર દરમિયાન "ભ્રષ્ટાચારને 'ના' કહીએ, રાષ્ટ્ર પતિ પ્રતિબદ્ધ રહીએ." ની થીમ સાથે સતર્કતા સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. આજે સવારે આ ઉજવણી અંતર્ગત રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિસરમાં સૌ અધિકારીઓ અને કર્મચારીઓને શપથ લેવડાવ્યા હતા.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવન પરિવારના સૌ સભ્યોને પોતાની સંસ્થાના વિકાસ અને ગરીમા માટે ફરજરત રહેવા અને સહિયારા પ્રયત્નોથી પોતાની સંસ્થાને ગૌરવાન્વિત કરીને દેશના નિર્માણ માટે નૈતિક સેવા પ્રદાન કરવાના શપથ લેવડાવ્યા હતા. રાજ્યપાલના અગ્ર સચિવ રાજેશ માંજુ, કર્તવ્યસ્ત પરિસહાય લેફ્ટનન્ટ મનુ તોમર (ઈન્ડિયન નેવી) સી.જી.એચ. અમિત જોશી તથા અધિકારીઓ અને કર્મચારીઓએ શપથ લીધા હતા.
