CMના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો નર્મદાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો
Live TV
-
આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો: પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું.
આજે મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે કિસાન સૂર્યોદય યોજનાનો નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો: પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરાયું.
મુખ્યમંત્રીશ્રી ઉપરાંત રાજ્ય મંત્રીમંડળના મંત્રીશ્રીઓ સર્વશ્રી સૌરભભાઇ પટેલ, પ્રદિપસિંહ જાડેજા, કુંવરજીભાઇ બાવળીયા, બચુભાઇ ખાબડ સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા. નર્મદા જિલ્લાના ૩૯ ગામોને સિંચાઇ માટે દિવસે વીજળી પોહ્ચાડવામાં આવશે. રાજ્યભરના ૨૭૦૨ ગામના ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના હેઠળ બીજા ચરણમાં સમાવાશે.
ખેડૂતો માટે વીજક્રાંતિ લાવનાર ઐતિહાસિક કિસાન સૂર્યોદય યોજનાના બીજા ચરણમાં આજે તા. ૦૭ મી જાન્યુઆરી, ૨૦૨૧ને ગુરૂવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતેથી શુભારંભ કરવામાં આવ્યો. જેનાથી નર્મદા જિલ્લાના ૩૯ ગામના ખેડૂતોને સિંચાઇ માટે દિવસે વીજળી ઉપલબ્ધ કરવામાં આવશે. આ યોજનાના બીજા ચરણમાં PGVCL, UGVCL, MGVCL અને SGVCLના વિસ્તારના કુલ ૨૭૦૨ ગામોના ખેડૂતોને કુલ ૯૫૩ ખેતી વિષયક ફીડરોના ૨.૨૪ લાખથી વધુ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપવામાં આવશે.
આ ઉપરાંત મુખ્યમંત્રીશ્રી રૂપાણીના હસ્તે પાણી પુરવઠાની રૂ. ૧૫૨ કરોડથી વધુના ખર્ચે વિવિધ યોજનાઓનું ખાતમૂહુર્ત કરવામાં આવ્યું. જેમાં કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના ૫૭ ગામોની રૂ. ૭૨.૬૬ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ ડાબા કાંઠા કેનાલ આધારિત નાંદોદ તાલુકાના ૨૧ ગામોની રૂ. ૨૩.૦૩ કરોડની પાણી પુરવઠા યોજના, કરજણ જમણા કાંઠા કેનાલ આધારિત નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના ૩૨ ગામોની રૂ. ૪૯.૯૪ કરોડની પાણી પુરવઠા યોજના તેમજ નર્મદા મુખ્ય કેનાલ આધારિત ગરૂડેશ્વર તાલુકાના ૩૬ ગામો અને ૨૨ ફળિયાની રૂ. ૭.૨૪ કરોડની પાણી પુરવઠા યોજનાઓનો સમાવેશ થાય છે.
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકા મથકે તિલકવાડાની કે.એમ.શાહ હાઇસ્કૂલ ખાતે સવારે ૯:૦૦ કલાકે યોજાયો ઉક્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ઉપરાંત ગુજરાતના ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલ, ઉર્જા રાજ્યમંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા, પાણી પુરવઠા મંત્રીશ્રી કુંવરજીભાઇ બાવળીયા, જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી અને ગ્રામ વિકાસ રાજ્યમંત્રીશ્રી બચુભાઇ ખાબડ, સંસદસભ્યશ્રી મનસુખભાઇ વસાવા, સંસદસભ્ય શ્રીમતી ગીતાબેન રાઠવા સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા હતા.
કિસાન સૂર્યોદય યોજનાની વિશેષતાઓ: ખેડૂતોને હવે દિવસે વીજળી મળતાં, રાતના ઉજાગરા, વન્ય જીવજંતુના ભય, કડકડતી ઠંડી અને ચોમાસામાં પડતી મુશ્કેલીઓથી કાયમ માટે મુક્તિ, સૂર્ય ઊર્જા થકી દિવસ ઉત્પન્ન થતી વીજળીનો દિવસે જ વપરાશ.
• વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા આ યોજનાનો શુભારંભ તા. ૨૪.૧૦.૨૦૨૦ના રોજ કરવામાં આવ્યો હતો. યોજનાના પહેલા તબક્કામાં જુનાગઢમાં ૨૨૦, ગીર સોમનાથમાં ૧૪૩ તેમજ દાહોદ જિલ્લાના ૬૯૨ એમ કુલ ૧૦૫૫ ગામોના ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું શરૂ કરવામાં આવ્યો છે.
• આ યોજના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૩૫૦૦ કરોડના ખર્ચે – ૬૬ કે.વી.ની ૩૪૯૦ સર્કિટ કિ.મી. જેટલી ૨૩૪ નવી ટ્રાન્સમીશન લાઇનો તથા ૨૨૦ કેવીના ૯ નવા સબસ્ટેશનો થકી ગુજરાતનું વીજ માળખું સુદ્ધઢ કરાશે.
• દક્ષિણ ગુજરાતમાં યોજનાના બીજા તબક્કામાં નર્મદા, ભરૂચ, તાપી, સુરત, વલસાડ અને નવસારી જિલ્લાના કુલ ૪૫૪ ગામોના ખેડૂતોને તા.૦૭/૦૧/૨૦૨૧ થી તા.૧૭/૦૧/૨૦૨૧ સુધીમાં તબ્બકાવાર દિવસે વીજ પુરવઠો આપવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ યોજના અંતર્ગત ડીજીવીસીએલના વિસ્તારમાં કુલ ૬૯ ફીડરોના ૪૫૪ ગામના ખેડૂતોના ૧૯૭૪૭ ખેતી વિષયક વીજ જોડાણોને દિવસ દરમિયાન સાતત્યપૂર્ણ વીજ પુરવઠો પૂરો પાડવા માટેનું આયોજન હાથ ધરવામાં આવેલ છે.
• ઉલ્લેખનીય છે કે, દક્ષિણ ગુજરાતમાં આ યોજનાના બીજા તબક્કામાં નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના કુલ ૩૯ જેટલા ગામોને ૪ મેગાવોટ વિજપુરવઠાના વિતરણનું આયોજન કરવામાં આવ્યું છે.
