QR કોડ પેમેન્ટ સિસ્ટમ દ્વારા છેલ્લા એક વર્ષમાં GSRTCની બસોમાં અંદાજે કુલ 1.03 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન નોંધાયા
Live TV
-
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે 'ડિજિટલ ઈન્ડિયા' અને 'ડિજિટલ ગુજરાત'ના સંકલ્પને સાકાર કરતા મુસાફર સુવિધા, પારદર્શિતા અને ગુણવત્તાયુક્ત પરિવહનના ક્ષેત્રે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે.
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં નિગમે આધુનિક ટેકનોલોજી અપનાવીને મુસાફરોની સફરને વધુ સુગમ, અને સરળ બનાવી છે. જે અંતર્ગત નિગમની બસોમાં ETM QR કોડ સિસ્ટમ અમલી બનાવાઈ છે. આ સિસ્ટમ દ્વારા એપ્રિલ 2025થી મે 2026 સુધીમાં બસોમાં કુલ 1.03 કરોડથી વધુ વધુ QR ટ્રાન્ઝેક્શન નોંધાયા છે જેના દ્વારા નિગમને રૂ. 112.45 કરોડથી વધુની આવક થઈ છે.રાજ્યના મુસાફરોને કેશલેસ મુસાફરીનો ઉત્કૃષ્ટ અનુભવ પૂરો પાડવા માટે ETM QR કોડ સિસ્ટમના અમલમાં મૂકવામાં આવી છે. બસોમાં એપ્રિલ 2025 માં જ્યાં 4.60 લાખ QR ટ્રાન્ઝેક્શન થતા હતા તેમાં ચાર ગણો વધારો થતા મે ૨૦૨૬માં 17.34 લાખથી વધુના ટ્રાન્ઝેક્શન નોંધાયા છે. આ સંદર્ભે નિગમને દર મહિને રૂ. 19.37 કરોડની આવક થઈ રહી છે.
નિગમના પી.આર.ઓ. શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું હતું કે, નિગમ દ્વારા સંચાલિત 16 વિભાગના125 ડેપો ખાતે 10,500 નવા ઈ-બીટીએમ-મશીનો ફાળવવામાં આવ્યા છે. અગાઉ પ્રીમિયમ બસોમાં ક્યુઆર કોડ (QR Code) ટ્રાન્ઝેક્શન દ્વારા ટિકિટ બુકિંગમાં મળેલા પ્રતિસાદને જોતા હવે નિગમ હસ્તકની તમામ સર્વિસો અને તમામ ડેપો ખાતે આ સુવિધાનો અમલ કરવામાં આવ્યો છે. મુસાફરી દરમિયાન મુસાફરોને છૂટા પૈસા બાબતે થતી તકલીફોનું આ ક્યુઆર કોડ ટ્રાન્ઝેક્શન પેમેન્ટથી કાયમી નિવારણ આવશે. આ સાથે મુસાફરલક્ષી સુવિધાઓમાં પણ વધારો થશે. ટેકનોલોજીના આ યુગમાં મુસાફરોને બસ સ્ટેન્ડ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેવામાંથી મુક્તિ આપવા માટે ઓનલાઈન એડવાન્સ બુકિંગ સુવિધાને પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વર્ષ 2026ના પ્રથમ છ મહિના દરમિયાન નિગમની પ્રીમિયમ અને નોન-પ્રીમિયમ મળીને કુલ 39,372 ટ્રિપ્સનું સંચાલન કરવામાં આવ્યું હતું.
મુસાફરોની સુવિધામાં વધારો કરતાં GSRTC દ્વારા હવે 100 કિલોમીટરથી વધુ અંતર કાપતી અંદાજે 2500 જેટલી લોકલ ટ્રિપ્સને પણ હવે ઓનલાઈન રિઝર્વેશન પ્લેટફોર્મ સાથે જોડવામાં આવી છે. આ નિર્ણયના કારણે ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારના મુસાફરો પણ હવે ઘરે બેઠા જ પોતાની લોકલ બસની ટિકિટ એડવાન્સમાં બુક કરાવી શકશે. રોકડા નાણાંની હેરફેર ઘટતા વહીવટમાં સો ટકા પારદર્શિતા આવી છે અને કંડક્ટરોનો સમય અને મહેનત પણ બચે છે.નિગમની પ્રીમિયમ એસી સેવાઓમાં મે 2026 દરમિયાન વેકેશનના માહોલમાં બુકિંગનો દર 78.85 ટકા નોંધાયો હતો. આ ઉપરાંત વોલ્વો બસોમાં પણ એપ્રિલ અને મે મહિનામાં અનુક્રમે 50 ટકા અને 57.81 ટકા બુકિંગ તથા નોન-પ્રીમિયમ સ્લીપર બસમાં છ મહિના દરમિયાન સરેરાશ 77.53 ટકાના બુકિંગ રેટ સાથે મુસાફરોની પ્રથમ પસંદગી બની છે.
