સીપીઆર જાગૃતિ સપ્તાહની શરૂઆત થઈ
Live TV
-
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવ દ્વારા 13 થી 17 ઓક્ટોબર સુધી સીપીઆર જાગૃતિ સપ્તાહની શરૂઆત કરવામાં આવી છે. તેનો હેતુ “હેન્ડ્સ-ઓન્લી સીપીઆર” જેવી સરળ તકનીકનું તાલીમ આપી, હૃદયરોગના 70% કિસ્સાઓમાં, જે હોસ્પિટલની બહાર થાય છે, ત્યાં તાત્કાલિક જીવનરક્ષક સહાય પૂરી પાડવાનો છે. સરકારનું લક્ષ્ય દરેક ઘર અને જાહેર સ્થળોએ ઓછામાં ઓછા એક વ્યક્તિને સીપીઆરની તાલીમ આપવાનું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ પુણ્ય સલિલા શ્રીવાસ્તવે સોમવારે જણાવ્યું હતું કે, સમયસર સીપીઆર (Cardiopulmonary Resuscitation) આપવાથી હાર્ટ એટેક દરમિયાન દર્દીનો જીવ બચાવવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. તેમણે સીપીઆર જાગૃતિ સપ્તાહની શરૂઆત કરતા આ વાત કહી. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા આયોજિત આ કાર્યક્રમ 13 થી 17 ઓક્ટોબર સુધી સમગ્ર દેશમાં મનાવવામાં આવી રહ્યો છે, જેનો ઉદ્દેશ્ય લોકોમાં સીપીઆર પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો અને વધુમાં વધુ લોકોને તેની તાલીમ આપવાનો છે.
સ્વાસ્થ્ય સચિવે કહ્યું કે, “હેન્ડ્સ-ઓન્લી સીપીઆર” જેવી સરળ ટેકનિકથી મેડિકલ સહાયતા ન પહોંચે ત્યાં સુધી દર્દીના શરીરમાં લોહી અને ઓક્સિજનનો પ્રવાહ જાળવી શકાય છે. આનાથી દર્દીના બચવાની સંભાવના અનેક ગણી વધી જાય છે. તેમણે જણાવ્યું કે, સરકારનું લક્ષ્ય છે કે દરેક ઘર, શાળા, ઓફિસ અને જાહેર જગ્યા પર ઓછામાં ઓછો એક વ્યક્તિ સીપીઆર આપતા જાણતો હોય.
ભારતમાં હૃદયના ધબકારા અટકી જવા (કાર્ડિયાક અરેસ્ટ)ના મોટા ભાગના 70% કિસ્સાઓ હોસ્પિટલની બહાર થાય છે, જ્યાં તરત મેડિકલ મદદ મળતી નથી. આવા સમયે આસપાસ હાજર કોઈ વ્યક્તિ દ્વારા સમયસર સીપીઆર આપવું જીવનરક્ષક સાબિત થઈ શકે છે. કાર્યક્રમમાં સહભાગીઓએ સીપીઆર પ્રત્યે જાગૃતિ ફેલાવવાની અને અન્યને તે શીખવવાની શપથ પણ લીધી. નિષ્ણાતોએ લાઇવ ડેમો દ્વારા સમજાવ્યું કે હેન્ડ્સ-ઓન્લી સીપીઆર કેવી રીતે કોઈ પણ સામાન્ય વ્યક્તિ દ્વારા કરી શકાય છે. સીપીઆરમાં છાતી પર પ્રતિ મિનિટ આશરે 100 વખત દબાણ (compressions) આપવું અને જરૂર પડ્યે મોં દ્વારા શ્વાસ આપવો (rescue breathing) શામેલ છે, જેથી પ્રોફેશનલ મદદ ન આવે ત્યાં સુધી મગજ અને અન્ય અંગો સુધી ઓક્સિજન પહોંચતો રહે.
