અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 8 ગુજરાતી સહિત 119 લોકો ભારત પરત આવશે
Live TV
-
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા 119 ભારતીયોની બીજી ફ્લાઇટ આજે ભારત આવશે. આ પહેલા પ્રથમ ફ્લાઇટમાં 104 ભારતીયોને અમેરિકાએ ભારતમાં પરત મોકલ્યા હતા. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોમાં 8 ગુજરાતી મુસાફરો પણ હોવાનું જાણવા મળ્યું છે.
અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયોની બીજી ફ્લાઇટ આજે અમૃતસર એરપોર્ટ પર પહોંચશે. આ ફ્લાઇટમાં 119 ભારતીયો હોવાનું જાણવા મળ્યું છે.
119 મુસાફરોમાં પંજાબના સૌથી વધુ 67 મુસાફર, હરિયાણાના 33, ગુજરાતના 8, ઉત્તર પ્રદેશના 3, રાજસ્થાન અને મહારાષ્ટ્રના 2-2 પેસેન્જર તેમજ જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશના એક-એક મુસાફર હોવાનું જાણવા મળ્યું છે. પ્રથમ બેચમાં અમેરિકાથી લાવવામાં આવેલા લોકોમાંથી 30 લોકો પંજાબના, 33-33 હરિયાણા અને ગુજરાતના, ત્રણ-ત્રણ મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશના અને બે લોકો ચંદીગઢના હતા.
મહત્ત્વપૂર્ણ છે કે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાષ્ટ્રપતિના શપથ લીધા પછી ગેરકાયદેસર રહેતા લોકોને દેશ નિકાલ કરવામાં આવી રહ્યાં છે. 5 ફેબ્રુઆરીના રોજ અમૃતસર પહોંચેલી પ્રથમ ફ્લાઇટમાં 104 ભારતીયો હતો જેમને હથકડી અને પગમાં સાંકળ બાંધીને લાવવામાં આવ્યા હતા જેનો દેશવ્યાપી વિરોધ થયો હતો. ભારતમાં ડિપોર્ટ થયેલા લોકો સાથેને વ્યવહાર અંગે અમેરિકાએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.
યુએસ કસ્ટમ્સ એન્ડ બોર્ડર પ્રોટેક્શન (USCBP) અનુસાર, 2022થી નવેમ્બર 2024 વચ્ચે લગભગ 1,700 ભારતીયોની ધરપકડ કરવામાં આવી હતી. 2022માં, 409ને અટકાવવામાં આવ્યા હતા, 2023 માં 730 અને 2024માં નવેમ્બર સુધી 517ને અટકાવવામાં આવ્યા હતા, જેમાં 42 સગીરોનો સમાવેશ થાય છે. 2022 માં, પ્યુ રિસર્ચ સેન્ટરે અંદાજ લગાવ્યો હતો કે 725,000 અનધિકૃત ભારતીય ઇમિગ્રન્ટ્સ યુએસમાં રહે છે.