ઇન્ડોનેશિયામાં દરિયાઈ હોનારત: 243 મુસાફરો સાથેનું જહાજ જાવા સાગરમાં ગુમ
Live TV
-
ઇન્ડોનેશિયાના જાવા સાગરમાં રવિવારે એક મોટી દરિયાઈ દુર્ઘટનાના એંધાણ સાંપડ્યા છે. 243 મુસાફરો અને ક્રૂ મેમ્બર્સને લઈને જઈ રહેલું 'વર્ગો ટ્રાન્સપોર્ટ-8' નામનું જહાજ અચાનક લાપતા થઈ ગયું છે. આ જહાજે શનિવારે સવારે સુરાબાયાથી બાંજારમાસિન જવા પ્રસ્થાન કર્યું હતું, પરંતુ મુસાફરી દરમિયાન દરિયામાં તેનો સંપર્ક તૂટી ગયો હતો. ઇન્ડોનેશિયાની સર્ચ એન્ડ રેસ્ક્યૂ એજન્સી (બસારનાસ) દ્વારા તાત્કાલિક ધોરણે મોટા પાયે શોધોપચાર (SAR) ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ઇન્ડોનેશિયન સરકારી ન્યૂઝ એજન્સી 'અંતરા'ના અહેવાલ મુજબ, બાંજારમાસિન ક્લાસ-A સર્ચ એન્ડ રેસ્ક્યૂ ઓફિસના વડા અને મિશન કોઓર્ડિનેટર આઈ પુતુ સુદાયનાએ રવિવારે સવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, વહેલી સવારે સ્થાનિક સમયાનુસાર આશરે 02:00 વાગ્યે (WITA) જહાજ સાથેનો સંપર્ક કપાઈ ગયો હતો. પ્રાથમિક વિગતો મુજબ, દરિયાઈ માર્ગ પર જહાજ ભારે ખરાબ હવામાનનો સામનો કરી રહ્યું હતું.
જહાજની છેલ્લી લોકેશન બાંજારમાસિનના બસિરિહ SAR જેટીથી લગભગ 80 નોટિકલ માઈલ દૂર નોંધાઈ હતી. આ ઘટના અંગે કંપની (PT વર્ગો)ના જનરલ મેનેજર યોએલ રિહીએ સવારે 04:10 વાગ્યે રેસ્ક્યૂ ઓફિસને જાણ કરી હતી.
બચાવ ટુકડીના વડા પુતુએ વધુમાં ઉમેર્યું હતું કે, "ઘટનાની માહિતી મળતાની સાથે જ બચાવ ટીમોને જહાજની છેલ્લી લોકેશન તરફ રવાના કરી દેવામાં આવી છે. અમે વધુમાં વધુ સંસાધનો અને બચાવકર્મીઓને આ મિશનમાં જોડ્યા છે. જહાજમાં મોટી સંખ્યામાં મુસાફરો હોવાથી તેમની સુરક્ષા અને સલામત વાપસી જ અમારી સૌથી પહેલી પ્રાથમિકતા છે."
હાલમાં બાંજારમાસિન SAR કાર્યાલય અન્ય સંબંધિત દરિયાઈ અને સુરક્ષા એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે, જેથી સર્ચ ઓપરેશન ઝડપી બનાવીને તમામ મુસાફરોને સલામત શોધી શકાય.
