ઈરાન મુદ્દે અમેરિકાનો કડક સંદેશ, મદદ કરનાર દેશો સામે પણ કાર્યવાહી: માર્કો રુબિયો
Live TV
-
ભારત અને ઈરાન વચ્ચે કોઈ નવા વેપાર કરારની શક્યતાને નકારી કાઢી છે.
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રુબિયોએ ચેતવણી આપી છે કે જો કોઈ દેશ ઈરાનને અમેરિકાના પ્રતિબંધોમાંથી બચવામાં મદદ કરશે, તો તેને પણ અમેરિકી પ્રતિબંધોનો સામનો કરવો પડી શકે છે. સાથે જ તેમણે ભારત અને ઈરાન વચ્ચે કોઈ નવા વેપાર કરારની શક્યતાને નકારી કાઢી છે. એક ઈન્ટરવ્યૂમાં ભારત-ઈરાન સંબંધો અંગે પૂછવામાં આવતા રુબિયોએ કહ્યું કે તેમને નથી લાગતું કે ભારત અને ઈરાન વચ્ચે કોઈ વેપાર કરાર થઈ રહ્યો છે.
દરેક દેશ પોતાની વિદેશ નીતિ નક્કી કરે છે
રુબિયોએ સ્વીકાર્યું કે વિશ્વના અનેક દેશો ઈરાન સાથે સંપર્કમાં છે અને પોતાની સ્વતંત્ર વિદેશ નીતિ અનુસાર નિર્ણયો લે છે. તમામ દેશ પોતાની વિદેશ નીતિ નક્કી કરે છે અને વિશ્વના અનેક દેશો ઈરાન સરકાર સાથે વાતચીત કરે છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ દેશે ઈરાનને પ્રતિબંધોમાંથી બચવા અથવા આવક ઊભી કરવામાં મદદ કરવી જોઈએ નહીં.
પ્રતિબંધોથી બચાવવામાં મદદ કરનાર દેશો સામે કાર્યવાહી
રુબિયોએ કહ્યું કે કોઈપણ દેશે ઈરાનને એવા તંત્ર ઊભા કરવામાં મદદ ન કરવી જોઈએ, જેના દ્વારા ઈરાન નાણાં કમાઈ શકે અને તેનો ઉપયોગ આતંકવાદને સમર્થન આપવા અથવા પરમાણુ હથિયાર મેળવવાના પ્રયાસોમાં કરી શકે. આવું કરનાર દેશ સામે પણ અમેરિકાએ પ્રતિબંધો લગાવવાની જરૂર પડી શકે છે. રુબિયોએ સ્પષ્ટ કર્યું કે ટ્રમ્પ પ્રશાસનનો મુખ્ય ઉદ્દેશ ઈરાનને પરમાણુ હથિયાર મેળવવાથી રોકવાનો છે. ટ્રમ્પ રાષ્ટ્રપતિ છે ત્યાં સુધી ઈરાનને પરમાણુ હથિયાર રાખવાની મંજૂરી આપવામાં આવશે નહીં.
આર્થિક દબાણ મુખ્ય હથિયાર
રુબિયોના જણાવ્યા અનુસાર ઈરાન પર દબાણ લાવવા માટે અમેરિકાનું મુખ્ય હથિયાર આર્થિક પ્રતિબંધો છે. જોકે જરૂર પડે તો સૈન્ય કાર્યવાહીનો વિકલ્પ પણ ખુલ્લો રાખવામાં આવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો કે ઈરાન પોતાના આર્થિક સંસાધનોનો ઉપયોગ સામાન્ય લોકોની ભલાઈ કરતાં સશસ્ત્ર જૂથોને સમર્થન આપવા માટે કરે છે. રુબિયોએ આરોપ લગાવ્યો કે, ઈરાન પોતાના આર્થિક સંસાધનોનો ઉપયોગ સામાન્ય નાગરિકોના કલ્યાણ માટે નહીં, પરંતુ સશસ્ત્ર જૂથોને સમર્થન આપવા માટે કરે છે. ઈરાનને નાણાં મુખ્યત્વે બે હેતુઓ માટે જોઈએ છે—આતંકવાદને સમર્થન આપવા અને અંતે પરમાણુ હથિયાર મેળવવા માટે. અમેરિકા આ બંને બાબતોને મંજૂરી આપી શકે નહીં.
હોર્મુઝ સ્ટ્રેટ અંગે અમેરિકાની ચેતવણી
હોર્મુઝ સ્ટ્રેટ અંગે રુબિયોએ કહ્યું કે, ઈરાન વેપારી જહાજો સામે હુમલા કરી રહ્યું છે, જ્યારે અમેરિકાએ જળમાર્ગમાં રહેલી બારૂદી સુરંગો દૂર કરી છે. અમેરિકાની સેના અને વૈશ્વિક દરિયાઈ વેપાર માટે જે પણ તાત્કાલિક ખતરો હશે, તેને નિશાન બનાવવામાં આવશે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે અને તેના પર ઈરાનનું નિયંત્રણ નહીં રહે. ભારત અને ઈરાન વચ્ચે લાંબા સમયથી રાજદ્વારી અને વેપારી સંબંધો છે. ભારત ઈરાનના ચાબહાર બંદરના વિકાસમાં પણ સહયોગ કરી રહ્યું છે, જે પાકિસ્તાનમાંથી પસાર થયા વિના અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી ભારતને વેપારી પહોંચ પૂરી પાડે છે.
