એજબેસ્ટનમાં ટીમ ઈન્ડિયાનું શાનદાર પ્રદર્શન, 12 વર્ષ બાદ ઈંગ્લેન્ડને 6 વિકેટે આપી માત
Live TV
-
ભારતીય ટીમે વનડે શ્રેણીની શરૂઆત ધમાકેદાર જીત સાથે કરી છે. એજબેસ્ટનના મેદાન પર ટીમ ઈન્ડિયાએ શાનદાર પ્રદર્શન કરતા ઈંગ્લેન્ડને 6 વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે જ એજબેસ્ટનમાં છેલ્લા 12 વર્ષથી ચાલતો ઈંગ્લેન્ડનો વિજય રથ પણ અટકી ગયો છે.
એજબેસ્ટનના મેદાન પર ઈંગ્લેન્ડે વનડે ક્રિકેટમાં છેલ્લી હાર વર્ષ 2014માં ભારત સામે જ અનુભવી હતી. ૨૦૧૪ પછી આ મેદાન પર રમાયેલી તમામ વનડે મેચોમાં ઈંગ્લેન્ડે જીત મેળવી હતી. જોકે, શુભમન ગિલના નેતૃત્વમાં ભારતીય ટીમે મંગળવારે ઈંગ્લેન્ડની આ 12 વર્ષની જીતની સિલસિલાને તોડી નાખ્યો છે.
મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડની આખી ટીમ 258 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમની શરૂઆત સારી રહી હતી અને જેકબ બેથેલ તથા બેન ડકેટે મળીને પ્રથમ વિકેટ માટે 61 રન જોડ્યા હતા. બેથેલ 14 રન બનાવી આઉટ થયા, જ્યારે ડકેટે 45 બોલમાં 43 રનની દમદાર ઇનિંગ રમી. કેપ્ટન હેરી બ્રૂક કંઈ ખાસ કરી શક્યા નહીં અને માત્ર એક રન બનાવી આઉટ થયા, જ્યારે જોસ બટલર 5 રન બનાવ્યા.
સામ કરનને પ્રસિદ્ધ કૃષ્ણાએ ખાતું ખોલાવ્યા વિના પેવેલિયન મોકલ્યા, તો વિલ જેક્સે 20 રન કર્યા. 80 રનમાં 5 વિકેટ ગુમાવ્યા બાદ ઈંગ્લેન્ડની લડખડાતી ઇનિંગને જો રૂટ અને લિયામ ડૉસને સંભાળી હતી. બંનેએ છઠ્ઠી વિકેટ માટે 134 બોલમાં 121 રનની શાનદાર ભાગીદારી કરી હતી. રૂટ 76 રન બનાવી અણનમ રહ્યા, તો ડૉસને 83 બોલમાં 68 રન બનાવ્યા. ભારત તરફથી બોલિંગમાં પ્રસિદ્ધ કૃષ્ણા અને ગુરનૂર બરારે બે-બે વિકેટ લીધી હતી. જ્યારે અક્ષર પટેલે 62 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.
ભારતીય ટીમે 259 રનનો લક્ષ્યાંક 45.2 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. રોહિત શર્મા માત્ર 11 રન બનાવી આઉટ થયા, તો વિરાટ કોહલી માત્ર 5 રન જ બનાવી શક્યા. શુભમન ગિલ 75 બોલમાં 80 રન બનાવ્યા બાદ રિટાયર્ડ હર્ટ થયા હતા. શ્રેયસ અય્યર 35 રન બનાવી રનઆઉટ થયા. જ્યારે વોશિંગ્ટન સુંદર 52 અને અક્ષર પટેલ 57 રન બનાવી અણનમ રહ્યા હતા.
