કુવૈતના લેબર કેમ્પમાં ભીષણ આગથી ભારતીયો સહિત 41 લોકોના મૃત્યુ
Live TV
-
ભારતીય દૂતાવાસે ઘટનામાં મદદ અંગે 965-65505246 પર ઈમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી
દક્ષિણ કુવૈતના મંગાફ શહેરમાં એક કંપનીના લેબર કેમ્પમાં ભીષણ આગ લાગી. લાગેલી આગમાં 41 કામદારો મૃત્યુ પામ્યા અને 50થી વધુ ઘાયલ થયા હતા. આ ઘટનામાં મોટાભાગના ભારતીયો હતા જેમાંથી કેટલાકની હાલત ગંભીર છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. આરોગ્ય મંત્રાલયે વધુ સારી તબીબી સંભાળ પૂરી પાડવાની ખાતરી આપી છે.
ગૃહમંત્રી શેખ ફહદ અલ-યુસેફ અલ-સબાહે ઘટનાસ્થળની મુલાકાત લઈ બિલ્ડિંગ માલિક, દરવાન અને કામદારો માટે જવાબદાર કંપનીના માલિકની ધરપકડનો આદેશ આપ્યો હતો. ગૃહમંત્રીએ કુવૈત મ્યુનિસિપાલિટી અને પબ્લિક ઓથોરિટી ફોર મેનપાવરને ઉલ્લંઘનો સામે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપ્યો છે.
મંગાફમાં આ દુ:ખદ ઘટનાને ધ્યાનમાં રાખીને, ભારતીય દૂતાવાસે 965-65505246 પર ઈમરજન્સી હેલ્પલાઇન શરૂ કરી છે. તમામ સંબંધિત પક્ષોને કોઈપણ અપડેટ માટે આ હેલ્પલાઈનનો ઉપયોગ કરવા વિનંતી કરવામાં આવી છે. કુવૈતમાં ભારતીય રાજદૂત ડૉ. આદર્શ સ્વૈકાએ ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી. તેમણે હોસ્પિટલમાં ઘાયલોની મુલાકાત લીધી અને કહ્યું કે; દૂતાવાસ શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે.
ભારતના વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકરે આ ઘટના પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા X પર કહ્યું, “કુવૈત શહેરમાં આગની ઘટનાના સમાચારથી ઊંડો આઘાત લાગ્યો છે. ત્યાં 40થી વધુ મૃત્યુ અને 50થી વધુ ઈજાગ્રસ્ત હોવાના અહેવાલ છે. અમારા રાજદૂતો કેમ્પમાં ગયા છે. અમે વધુ માહિતીની રાહ જોઈ રહ્યા છીએ. આ અકસ્માતમાં દુ:ખદ રીતે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો પ્રત્યે ઊંડી સંવેદના અનુભવું છું. હું ઘાયલોની ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતાની કામના કરું છું. અમારું દૂતાવાસ આ સંબંધમાં તમામ સંબંધિતોને સંપૂર્ણ મદદ કરશે.