જોએલ મોકીર, ફિલિપ એઘિયન અને પીટર હૉવિટને અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર
Live TV
-
અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર 2025 અમેરિકાના જોએલ મોકીર અને સંયુક્ત રીતે ફિલિપ એઘિયન (યુકે) તથા પીટર હૉવિટ (અમેરિકા) ને એનાયત કરવામાં આવ્યો છે. આ ત્રણેય અર્થશાસ્ત્રીઓને આર્થિક વિકાસમાં નવીનતા અને સર્જનાત્મક વિનાશ ના અભ્યાસ દ્વારા સતત વિકાસનો માર્ગ કેવી રીતે ખૂલે છે તે સમજાવવા બદલ આ સન્માન મળ્યું છે. આ પુરસ્કાર, જે 1969માં સ્વીડિશ સેન્ટ્રલ બેંક દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો, તે વૈશ્વિક અર્થતંત્રને સમજવામાં તેમના યોગદાનને બિરદાવે છે.
સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં આજે અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઇઝની જાહેરાત કરવામાં આવી છે. આર્થિક વિજ્ઞાનમાં સ્વેરિગ્સ રિક્સબેંક નોબેલ પુરસ્કાર 2025ની જાહેરાત રોયલ સ્વીડિશ એકેડમી ઑફ સાયન્સિસમાં બપોરે 3:15 વાગ્યે થઈ. આ ત્રણેયને આર્થિક વિકાસમાં નવીનતાના અભ્યાસ માટે આ પુરસ્કાર મળ્યો છે. આ વર્ષે નોબેલ પુરસ્કાર ત્રણ અર્થશાસ્ત્રીઓ જોએલ મોકીર (અમેરિકા), પીટર હૉવિટ (અમેરિકા), અને ફિલિપ એઘિયન (યુકે) ને મળ્યો છે.
નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે આ અર્થશાસ્ત્રીઓએ સમજાવ્યું કે કેવી રીતે નવીનતાથી આર્થિક વિકાસનો માર્ગ ખૂલે છે. ટેક્નોલોજી ઝડપથી બદલાય છે અને તે આપણા બધા પર અસર કરે છે.
'નોબેલ પ્રાઇઝ ઓર્ગેનાઇઝેશન' અનુસાર, આ પુરસ્કારનો અડધો ભાગ જોએલ મોકીરને "તકનીકી પ્રગતિ દ્વારા સતત વિકાસ માટે આવશ્યક શરતોની ઓળખ કરવા બદલ" અને બીજો ભાગ સંયુક્ત રીતે ફિલિપ એઘિયન અને પીટર હૉવિટને "સર્જનાત્મક વિનાશ દ્વારા સતત વિકાસના સિદ્ધાંત માટે" પ્રદાન કરવામાં આવશે.
મોકીરે નિરંતર વિકાસના નવા સામાન્ય બનવાના કારણોને ઉજાગર કરવા માટે ઐતિહાસિક સ્ત્રોતોનો એક સાધન તરીકે ઉપયોગ કર્યો. એઘિયન અને હૉવિટે પણ સતત વિકાસ પાછળના તંત્રોનો અભ્યાસ કર્યો. 1992ના એક લેખમાં, તેમણે સર્જનાત્મક વિનાશ નામનું એક ગાણિતિક મૉડલ બનાવ્યું અને સમજાવ્યું કે જ્યારે કોઈ નવું અને વધુ સારું ઉત્પાદન બજારમાં પ્રવેશે છે, ત્યારે જૂના ઉત્પાદનો વેચતી કંપનીઓ ખોટમાં જાય છે.
નવા ઉત્પાદનો અને ઉત્પાદનની પદ્ધતિઓ જૂની પદ્ધતિઓને બદલતી રહે છે, અને આ પ્રક્રિયા ક્યારેય સમાપ્ત થતી નથી. સતત આર્થિક વિકાસનો આ જ આધાર છે, જેનાથી દુનિયાભરના લોકોના જીવનની ગુણવત્તા, સ્વાસ્થ્ય અને જીવનધોરણમાં સુધારો થાય છે. આ પુરસ્કાર એવા અર્થશાસ્ત્રીઓને આપવામાં આવે છે, જેમના સંશોધને અર્થતંત્રને સમજવામાં અને તેની સમસ્યાઓ હલ કરવામાં મોટું યોગદાન આપ્યું હોય.
આ પુરસ્કારને "અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર" કહેવામાં આવે છે, પરંતુ તકનીકી રીતે તે નોબેલના વસિયતના મૂળ પાંચ પુરસ્કારોમાંથી એક ન હતો. તેને 1969માં સ્વીડિશ સેન્ટ્રલ બેંક (સ્વેરિગ્સ રિક્સબેંક) દ્વારા સ્થાપિત કરવામાં આવ્યો હતો. રોયલ સ્વીડિશ એકેડમી ઑફ સાયન્સિસ આ પુરસ્કારના વિજેતાઓનું ચયન કરે છે.
