વિદેશ પ્રધાન એસ.જયશંકર તેમના બીજા કાર્યકાળમાં તેમની પ્રથમ મુલાકાતે શ્રીલંકા પહોંચ્યા
Live TV
-
વિદેશ મંત્રી એસ. જયશંકર તેમના બીજા કાર્યકાળના પ્રથમ વિદેશ પ્રવાસ પર શ્રીલંકાની રાજધાની કોલંબો પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
વિદેશ મંત્રી જયશંકરે શ્રીલંકાના વિદેશ રાજ્ય મંત્રી થરકા બાલાસૂર્યા અને પૂર્વ પ્રાંતના ગવર્નર સેંથિલ થોન્ડમનનો ઉષ્માભર્યો સ્વાગત કરવા બદલ આભાર માન્યો હતો. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, આ મુલાકાત ભારતની 'નેબરહુડ ફર્સ્ટ પોલિસી'ને અનુરૂપ છે અને શ્રીલંકાને તેના નજીકના દરિયાઈ પાડોશી તરીકે જોવાનું ચાલુ રાખે છે.
મુલાકાત દરમિયાન, વિદેશ મંત્રી શ્રીલંકા સાથે બંને દેશો વચ્ચેની ભાગીદારીના વ્યાપક મુદ્દાઓ પર બેઠક કરશે. વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, એસ. જયશંકરની આ મુલાકાત બંને દેશો વચ્ચે કનેક્ટિવિટી પ્રોજેક્ટ અને અન્ય ક્ષેત્રોમાં પરસ્પર ફાયદાકારક સાબિત થશે.
નોંધનીય છે કે, એસ. જયશંકર ગયા અઠવાડિયે ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં આયોજિત G-7 આઉટરીચ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રતિનિધિમંડળનો ભાગ હતા. ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના બીજા કાર્યકાળ દરમિયાન ભાજપના અગ્રણી નેતા એસ. જયશંકરે ફરી એકવાર નવી સરકારમાં વિદેશ મંત્રીનું પદ સંભાળ્યું.
શ્રીલંકાના રાષ્ટ્રપતિએ ભારત સાથે સહયોગની આશા વ્યક્ત કરી હતી
અગાઉ શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે, મોટા પાયે ઔદ્યોગિક વિકાસનો લાભ લેવા માટે શ્રીલંકાને પડોશી દેશ ભારત સાથે સહકારની જરૂર છે. વિક્રમસિંઘેએ કહ્યું, “આપણા પાડોશી ભારત મોટા ઔદ્યોગિક વિકાસના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશ આનો અનુભવ કરી રહ્યા છે. આપણે પણ આમાં ભાગ લેવો જોઈએ.”
રાષ્ટ્રપતિ વિક્રમસિંઘેએ કહ્યું હતું કે, તેમને આશા છે કે વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની સાથે તેઓ તેમની ભારત મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થયેલી વાતચીત અંગે ચર્ચા કરશે. તેમણે કહ્યું હતું કે, સૌર અને પવન ઉર્જાનો ઉપયોગ અને પ્રવાહી હાઇડ્રોજન મેળવવા એ એવા ક્ષેત્રો છે જ્યાં અમે ભારત સાથે મળીને કામ કરવા આતુર છીએ.