વેનેઝુએલામાં વિનાશક ભૂકંપ: અત્યારસુધીમાં મૃત્યુઆંક 900 ને પાર
Live TV
-
દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં કુદરતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. અહીં આવેલા બે ઉપરાઉપરી વિનાશક ભૂકંપના કારણે અત્યાર સુધીમાં સત્તાવાર મૃત્યુઆંક 900 ને વટાવી ગયો છે, જ્યારે 50,000 થી વધુ લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલથી સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે.
ભૂકંપના લગભગ બે દિવસ બાદ હવે વિદેશી બચાવ ટીમો અને તાત્કાલિક સહાય પુરવઠો સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચવાનું શરૂ થયું છે. શુક્રવારે સ્થાનિક રહેવાસીઓ અને બચાવ દળોએ કાટમાળ નીચે દબાયેલા બચી ગયેલા લોકોને શોધવા માટે રાત-દિવસ એક કર્યા છે.
સરકારી આંકડાઓ અનુસાર, બુધવારે સાંજે રાજધાની કારાકાસ અને તેની આસપાસના વિસ્તારોમાં આવેલા આ ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ છે. હાલની સ્થિતિએ અંદાજે 172 લોકો હજુ પણ કાટમાળમાં ફસાયેલા છે, 920 લોકોના મોતની પુષ્ટિ થઈ ચૂકી છે અને 3,360 થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ગુમ થયેલા હજારો લોકોના કારણે મૃત્યુઆંક હજુ પણ વધવાની આશંકા છે.
અહેવાલ મુજબ, વેનેઝુએલામાં આવેલા 7.2 અને 7.5 ની તીવ્રતાના આ બે ભૂકંપના કારણે દેશને આશરે 6.7 બિલિયન ડોલરનું સીધું આર્થિક નુકસાન થયું છે. આ પૈકીનો બીજો ભૂકંપ વેનેઝુએલાના ઇતિહાસમાં છેલ્લા 100 વર્ષનો સૌથી શક્તિશાળી અને વિનાશક ભૂકંપ ગણાવવામાં આવી રહ્યો છે.
