વેનેઝુએલા ભૂકંપમાં મોતનો આંકડો 2,595 થયો, 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત
Live TV
-
વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝ જણાવ્યું હતું કે, ભૂકંપને કારણે 2,595 લોકોના મોત થયા છે અને 12000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત, ભૂકંપના તીવ્ર આંચકાઓને કારણે દેશમાં 189 ઈમારતો ધરાશાયી થઈ છે.
કાર્યકારી રાષ્ટ્રપતિ રોડ્રિગ્ઝ અસ્થાયી કેમ્પ બનાવવા માટેના કમાન્ડ સેન્ટરના વડા પણ છે. અગાઉ તેમણે આરોગ્ય કાર્યકરો, સુરક્ષા કર્મચારીઓ અને ફાયરફાઈટર્સને ભૂકંપને કારણે થયેલી મુશ્કેલીઓને દૂર કરવા માટે 'પેટ્રિયા' પ્લેટફોર્મ પર નોંધણી કરવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, 25 અસ્થાયી કેમ્પ કાર્યરત છે, જેમાં લા ગુએરામાં 13, કારાકાસમાં 8, મિરાન્ડામાં 2, કારાબોબોમાં 1 અને યારાકુયમાં 1 કેમ્પનો સમાવેશ થાય છે. રોડ્રિગ્ઝે જણાવ્યું કે, અધિકારીઓ કેમ્પ તૈયાર કરવા અને અસરગ્રસ્ત લોકોને ત્યાં ખસેડવા માટે ઝડપથી કામ કરી રહ્યા છે.
તેમણે માહિતી આપી કે, 24 જૂનથી અત્યાર સુધી વેનેઝુએલામાં 782 આફ્ટરશોક્સ (ભૂકંપના નાના આંચકા) નોંધાયા છે, જોકે હવે તેમાં ધીમે ધીમે ઘટાડો થયો છે. આ ઉપરાંત, વેનેઝુએલાના કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝે 24 જૂનના રોજ આવેલા શક્તિશાળી ભૂકંપના પીડિતોને શ્રદ્ધાંજલિ આપવા માટે સાત દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે.
રોડ્રિગ્ઝે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'પીડિતોની યાદમાં મેં બુધવાર (સ્થાનિક સમય) સાંજથી સાત દિવસ માટે રાષ્ટ્રીય શોક જાહેર કરવાનો નિર્ણય લીધો છે. દુઃખની આ ઘડીમાં અમે આ દુર્ઘટનાથી પીડિત લોકો સાથે છીએ અને તેમને રક્ષણ આપવાનું અમારું વચન ફરી દોહરાવીએ છીએ. ખતરનાક ભૂકંપને કારણે થયેલા માનવ જીવનના નુકસાનથી વેનેઝુએલા ઘણું આઘાતમાં છે.'
ન્યૂઝ એજન્સી સિન્હુઆના જણાવ્યા અનુસાર, મંગળવાર સુધીમાં ભૂકંપને કારણે ઓછામાં ઓછા 1,943 લોકોના મોત થયા હતા અને 10,500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ અગાઉ, પોર્ટુગલ સરકારે પણ વેનેઝુએલામાં ભૂકંપના પીડિતો માટે, ખાસ કરીને પોર્ટુગીઝ નાગરિકો અને પોર્ટુગીઝ મૂળના લોકો માટે રવિવાર (5 જુલાઈ)ના રોજ રાષ્ટ્રીય શોક દિવસ મનાવવાની જાહેરાત કરી હતી. પોર્ટુગલના વિદેશ મંત્રાલયના નવા અપડેટ મુજબ, મૃતક પોર્ટુગીઝ નાગરિકો અને પોર્ટુગીઝ મૂળના લોકોની સંખ્યા વધીને 71 થઈ ગઈ છે, જેમાં 11 બાળકોનો સમાવેશ થાય છે, જ્યારે અન્ય 71 લોકો હજુ પણ લાપતા છે.
સત્તાવાર લુસા ન્યૂઝ એજન્સી અનુસાર, વેનેઝુએલામાં રહેતો પોર્ટુગીઝ સમુદાય વિશ્વભરના પોર્ટુગીઝ પ્રવાસી સમુદાયોમાં સૌથી મોટો છે. લેટિન અમેરિકામાં બ્રાઝિલ પછી તેનું સ્થાન બીજું છે. અંદાજ મુજબ, આ સમુદાયની વસ્તી લગભગ 12 લાખ છે.
ગયા અઠવાડિયે, વેનેઝુએલા નેશનલ એસેમ્બલીના અધ્યક્ષ જ્યોર્જ રોડ્રિગ્ઝે જાહેરાત કરી હતી કે લા ગુએરા રાજ્યને બચાવ કામગીરીમાં મદદ કરવા અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે લશ્કરી નિયંત્રણ હેઠળ લેવામાં આવ્યું છે. લા ગુએરા સતત બે ભૂકંપના આંચકાથી ભારે પ્રભાવિત થયું હતું.
