હોર્મુઝ સ્ટ્રેટ નજીક 22 ભારતીય જહાજો સુરક્ષિત, 611 ખલાસીઓ સવાર: જળમાર્ગ મંત્રાલય
Live TV
-
ભારત સરકારના બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયે જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટની પશ્ચિમે પર્શિયન ગલ્ફ વિસ્તારમાં હાલમાં 22 ભારતીય ધ્વજવાળા જહાજો હાજર છે, જેમાં કુલ 611 ભારતીય ખલાસીઓ સવાર છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે છેલ્લા 24 કલાકમાં કોઈ ઘટના નોંધાઈ નથી અને તમામ જહાજો તથા ક્રૂ સુરક્ષિત છે. મંત્રાલયના વિશેષ સચિવ રાજેશ કુમાર સિંહાએ જણાવ્યું કે પર્શિયન ગલ્ફમાંથી રવાના થયેલ ‘શિવાલિક’ એલપીજી કેરિયર હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ભારત તરફ આગળ વધી રહ્યું છે. જહાજના આગમન પહેલા બંદર પર જરૂરી દસ્તાવેજો, પ્રાથમિકતા બર્થિંગ સહિતની તમામ તૈયારીઓ કરવામાં આવી છે, જેથી માલ ઉતારવામાં કોઈ વિલંબ ન થાય.
તેમણે વધુમાં જણાવ્યું કે ભારતીય ધ્વજવાળું જહાજ ‘જગ લડકી’ 14 માર્ચે યુએઈથી 81 હજાર ટન મુર્બન ક્રૂડ ઓઇલ લઈને ભારત માટે રવાના થયું હતું. આ જહાજ આવતીકાલે મુન્દ્રા બંદર પર પહોંચવાની સંભાવના છે. આ દરમિયાન વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે સંઘર્ષગ્રસ્ત વિસ્તારમાંથી લગભગ 90 ભારતીય નાગરિકો જમીન માર્ગે ઈરાનથી અઝરબૈજાન પહોંચી ગયા છે. તેહરાન સ્થિત ભારતીય દૂતાવાસે વિઝા અને ઇમિગ્રેશન પ્રક્રિયામાં તેમને મદદ કરી હતી.
તેમણે ઉમેર્યું કે અગાઉ ઈરાનથી આર્મેનિયા પહોંચેલા 550 લોકોમાંથી 284 ભારતીય યાત્રાળુઓ હતા. કેટલાક નાગરિકો ભારત પરત ફરી ચૂક્યા છે, જ્યારે બાકીના આગામી દિવસોમાં પરત ફરશે. તેહરાનમાં ભારતીય દૂતાવાસ હાલ સંપૂર્ણ રીતે કાર્યરત છે અને ભારતીય વિદ્યાર્થીઓને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં મદદ કરી રહ્યું છે.
