અનલોક-3 : રાજ્યોને ચીજવસ્તુઓ,સેવાઓની કોઈપણ પ્રકારની અડચણ વિના અવરજવરને મંજૂરી આપવા નિર્દેશ
Live TV
-
જિલ્લા વહીવટીતંત્ર કે રાજ્ય સરકારો દ્વારા સ્થાનિક સ્તરે લાગુ કરેલા નિયંત્રણો એ ડીએમએ, 2005ની જોગવાઈ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકાઓનાં ઉલ્લંખન સમાન છે
કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને જણાવ્યું છે કે, હાલ અનલોક-3 માર્ગદર્શિકા અમલમાં છે, ત્યારે આંતર-રાજ્ય અને રાજ્યની અંદર વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની અવરજવર પર કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાગુ ન કરવા જોઈએ.
કેન્દ્રીય ગૃહ મંત્રાલય (એમએચએ)એ આજે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને સંદેશા વ્યવહાર દ્વારા જણાવ્યું છે કે, વિવિધ જિલ્લા વહીવટીતંત્ર/રાજ્ય સરકારો દ્વારા અવરજવર પર સ્થાનિક સ્તરે નિયંત્રણો લાગુ કરવામાં આવ્યાં હોવાની જાણકારી મળી છે. આ પ્રકારના નિયંત્રણોથી રાજ્યો વચ્ચે ચીજવસ્તુઓ અને સેવાઓની અવરજવરમાં સમસ્યાઓ ઊભી થઈ રહી છે એના પરિણામ સ્વરૂપ પુરવઠાની સાંકળ પર અસર થઈ છે. આ કારણે આર્થિક પ્રવૃત્તિઓ અને રોજગારીમાં વિક્ષેપ ઊભો થયો છે તેમજ ચીજવસ્તુઓ અને સેવાઓના પુરવઠાને અસર થઈ છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જણાવ્યું છે કે, જિલ્લા વહીવટીતંત્ર કે રાજ્ય સરકારો દ્વારા સ્થાનિક સ્તરે આ પ્રકારના નિયંત્રણો લાગુ કરવા એ આપત્તિ વ્યવસ્થાપન ધારા, 2005ની જોગવાઈઓ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલયે જાહેર કરેલી માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયના 29 જુલાઈ, 2020ના આદેશ અને ખાસ કરીને અનલોક-3 માટેની માર્ગદર્શિકા પર ધ્યાન દોરીને આ સંદેશા વ્યવહારમાં ભાર મૂકવામાં આવ્યો છે કે, વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની અવરજવર પર રાજ્યો વચ્ચે અને રાજ્યોની અંદર કોઈ પણ પ્રકારના નિયંત્રણો લાગુ નહીં પડે. આ પ્રકારની અવરજવર માટે અલગથી મંજૂરી/સંમતિ/ઇ-પરમિટની જરૂર નહીં રહે. એમાં પડોશી દેશો સાથે થયેલી સંધિઓ અંતર્ગત આંતરરાષ્ટ્રીય સરહદો દ્વારા થતા વેપાર માટે વ્યક્તિઓ અને ચીજવસ્તુઓની અવરજવર સામેલ છે.
