અમિત શાહે આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી
Live TV
-
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે શનિવારે નવી દિલ્હીમાં આયોજિત એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં સંભવિત પૂર અને હીટવેવનો સામનો કરવાની તૈયારીઓની વ્યાપક સમીક્ષા કરી. બેઠકમાં વિવિધ મંત્રાલયો, વિભાગો અને આપત્તિ વ્યવસ્થાપન એજન્સીઓના વરિષ્ઠ અધિકારીઓએ ભાગ લીધો હતો.
બેઠકને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં "ઝીરો કેઝ્યુઆલ્ટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ"ના વિઝનને અમલમાં મૂકવાની દિશામાં કામ કરવું પડશે. તેમણે કહ્યું કે દેશના દરેક રાજ્યમાં ફ્લડ ક્રાઈસીસ મેનેજમેન્ટ ટીમ (FCMT)ની રચના અને સક્રિય સંચાલન સુનિશ્ચિત કરવામાં આવે.
અમિત શાહે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમના ઉચ્ચ જોખમ ધરાવતા તળાવ વિસ્તારો માટે પ્રારંભિક ચેતવણી પ્રણાલી વિકસાવવામાં આવે. તેમણે નિર્દેશ આપ્યો કે ઓછામાં ઓછા 60 તળાવોને આ યોજનામાં સામેલ કરવામાં આવે અને કેન્દ્ર તથા રાજ્ય સ્તરે પૂરની આગાહી માટે એકીકૃત પ્રણાલી વિકસાવવામાં આવે.
તેમણે કહ્યું કે રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ (NDMA) દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાઓની રાજ્ય, જિલ્લા અને નગર સ્તરે સમીક્ષા થવી જોઈએ જેથી તેનો બહેતર અમલ સુનિશ્ચિત કરી શકાય. સાથે જ NDMAને એ અભ્યાસ કરવા સૂચના આપવામાં આવી છે કે કેટલા રાજ્યો વન્ય અગ્નિ (દાવાનળ), હીટવેવ અને પૂરનો સામનો કરવા માટે ગૃહ મંત્રાલય તથા NDMAની માર્ગદર્શિકાઓનું પાલન કરી રહ્યા છે.
ગૃહ મંત્રીએ કહ્યું કે જળ સંરક્ષણ અને ભૂગર્ભ જળ સ્તર સુધારવા માટે ચેક ડેમ અને જળ સંગ્રહ પ્રોજેક્ટ્સની સંભાવનાઓ વધારવી જોઈએ. તેમણે કહ્યું કે નદીઓ પર ચેક ડેમ બનાવીને જળ સંરક્ષણની સાથે સાથે હીટવેવની અસરને પણ ઘટાડી શકાય છે. તેમણે એમ પણ કહ્યું કે પર્યાવરણ સંતુલન જાળવી રાખવા માટે CAMPA ફંડનો બહુઆયામી ઉપયોગ થવો જોઈએ.
અમિત શાહે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે જળવાયુ પરિવર્તનને કારણે હવામાનમાં આવી રહેલા ફેરફારો અને તેનાથી સંબંધિત આપત્તિઓનો સામનો કરવા માટે "Whole of Government" અને "Whole of Society" અભિગમ હેઠળ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવે.
ગૃહ મંત્રીએ કહ્યું કે નવી એપ અને પોર્ટલ બનાવવાને બદલે હાલના પ્લેટફોર્મને વધુ સારું અને અસરકારક બનાવવામાં આવે. સાથે જ હવામાનની આગાહી અને ચેતવણીઓનો વ્યાપક અને પ્રભાવી પ્રસાર સુનિશ્ચિત કરવા પર ભાર મૂક્યો.
ગૃહ મંત્રીએ જણાવ્યું કે ચોમાસા દરમિયાન થતા મૃત્યુ, આગાહીઓની ચોકસાઈ અને કૃષિ ક્ષેત્રને થતા નુકસાનનો અભ્યાસ કરી હવામાનની આગાહી પ્રણાલીને વધુ મજબૂત બનાવવી જોઈએ.
તેમણે મંત્રાલયો અને વિભાગો વચ્ચેના બહેતર સંકલનની પ્રશંસા કરતા કહ્યું કે હવે સમય આવી ગયો છે કે હવામાન સંબંધિત યોજનાઓ પાયાના સ્તર સુધી પહોંચે.
બેઠકમાં કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલ, કેન્દ્રીય ગૃહ સચિવ, વિવિધ મંત્રાલયોના સચિવો, રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ, રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ, ભારત હવામાન વિજ્ઞાન વિભાગ, ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને કેન્દ્રીય જળ આયોગના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
