અમિત શાહ મુંબઈમાં હિન્દી દિવસ અને રાજભાષા સંમેલનનું ઉદ્ઘાટન કરશે; CM ફડણવીસ પણ રહેશે હાજર
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સોમવારે મુંબઈ ખાતે આયોજિત હિંન્દી દિવસ 2026 અને છઠ્ઠા અખિલ ભારતીય રાજભાષા સંમેલનના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કરશે.
ગૃહ મંત્રાલયના રાજભાષા વિભાગ દ્વારા 2021થી દર વર્ષે આ સંમેલનનું આયોજન કરવામાં આવે છે. બે દિવસીય કાર્યક્રમના ઉદ્ઘાટન સત્રમાં અમિત શાહ વર્ષ 2025-26 માટે રાજભાષાના ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન આપનાર સંસ્થાઓ અને વ્યક્તિઓને રાજભાષા ગૌરવ અને રાજભાષા કીર્તિ પુરસ્કારથી સન્માનિત કરશે.
મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને હિન્દીનો સમન્વય
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિઝનથી પ્રેરિત આ કાર્યક્રમ મહારાષ્ટ્રની સમૃદ્ધ ભાષાકીય, સાંસ્કૃતિક અને સાહિત્યિક પરંપરાઓ સાથે હિન્દીના જીવંત સંબંધોને ઉજાગર કરશે. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને સુનેત્રા પવાર સહિત અનેક સાંસદો, વિદ્વાનો, સાહિત્યકારો અને કેન્દ્ર સરકારના વરિષ્ઠ અધિકારીઓ હાજર રહેશે.વિશેષ પુસ્તકોનું વિમોચન અને વંદે માતરમ પર ચર્ચા
કાર્યક્રમ દરમિયાન રાજભાષા વિભાગની પત્રિકા રાજભાષા ભારતીના વિશેષ અંક સહિત ભારતીય જ્ઞાન તંત્ર: સ્રોત ઔર સ્વરૂપ, શિવ અનાદિ હૈં, અનંત હૈં અને અંધેરોં સે ઉજાલોં તક (જેલના કેદીઓની રચનાઓનો સંગ્રહ) જેવા પુસ્તકોનું વિમોચન કરાશે.આ વર્ષના સંમેલનનું મુખ્ય આકર્ષણ રાષ્ટ્રીય ગીત વંદે માતરમ પર કેન્દ્રિત વિશેષ ચર્ચા સત્ર રહેશે. આ સત્રમાં વંદે માતરમના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પાંચમી પેઢીના વંશજ જોયદીપ ચટ્ટોપાધ્યાય વિશેષ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત ટાઉન ઓફિશિયલ લેંગ્વેજ ઈમ્પ્લીમેન્ટેશન કમિટીની ભૂમિકા પર પણ એક સત્ર યોજાશે.
કાર્યક્રમ સ્થળ પર વિવિધ બેંકો, મંત્રાલયો અને સંસ્થાઓ દ્વારા એક વિશેષ પ્રદર્શન પણ ગોઠવવામાં આવ્યું છે.
