અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણતાના આરે, ટ્રસ્ટની બેઠકમાં મહત્ત્વના નિર્ણયો લેવાય તેવી શક્યતા
Live TV
-
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની એક મહત્ત્વની બેઠક શનિવારે(21 માર્ચ, 2026) અયોધ્યામાં યોજાવા જઈ રહી છે, જ્યાં મંદિરના સંચાલન અને મુલાકાતીઓની વ્યવસ્થા સંબંધિત કેટલાય મહત્ત્વના નિર્ણયોને અંતિમ ઓપ આપવામાં આવે તેવી શક્યતા છે. બેઠક પહેલા રામ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ ભવ્ય પ્રોજેક્ટની પ્રગતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, નિર્માણ કાર્ય હવે અંતિમ તબક્કામાં છે. મંદિર સંકુલ પાછળ કુલ ખર્ચ 1,800 કરોડ રૂપિયા થવાનો અંદાજ છે, જે આ વિકાસની વિશાળતા અને મહત્ત્વકાંક્ષાને દર્શાવે છે.
આ સાથે મુખ્ય મુદ્દાઓ પૈકીનો એક સંકુલની અંદર સ્થિત સાત સહાયક મંદિરોમાં દર્શનની વ્યવસ્થા સાથે સંબંધિત છે. જેમાં પરિક્રમા માર્ગ પર સ્થિત સપ્તર્ષિ મંદિરનો પણ સમાવેશ થાય છે, જ્યાં આગામી રામનવમીની ઉજવણી બાદ શ્રદ્ધાળુઓ માટે પ્રવેશ ખોલવામાં આવે તેવી આશા છે.
ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં ધાર્મિક સમારોહ અને કાર્યક્રમોના આયોજનની પદ્ધતિ પર પણ નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મંદિર સંકુલમાં મોટા પાયાના કાર્યક્રમો આયોજિત કરી શકાશે નહીં અને સાદગીપૂર્ણ તેમજ પરંપરાગત વિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી શકે છે. આધ્યાત્મિક પવિત્રતાને ધ્યાનમાં રાખીને સાતેય મંદિરોમાં ધ્વજારોહણ સમારોહનું આયોજન મર્યાદિત રીતે કરવામાં આવે તેવી શક્યતા છે.
આ ઘટનાક્રમ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ અઠવાડિયાની શરૂઆતમાં મંદિરની મુલાકાત લેવા અને વૈદિક અનુષ્ઠાનોમાં ભાગ લેવા તેમજ ચાલી રહેલા કાર્યોની પ્રગતિની સમીક્ષા કર્યાના થોડા સમય બાદ સામે આવ્યા છે.
રાષ્ટ્રપતિ મુર્મુએ ગુરુવારે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં 'શ્રી રામ યંત્ર' સ્થાપિત કર્યું અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે પ્રાર્થના કરી હતી. પ્રોજેક્ટ પૂર્ણતાના આરે હોવાથી અને મુખ્ય કામગીરી સંબંધિત નિર્ણયો બાકી હોવાથી, આજની ટ્રસ્ટની બેઠક રામ મંદિરના કામકાજ અને સંચાલનના આગામી તબક્કાને આકાર આપવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે તેવી અપેક્ષા છે.
