કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ મુંબઈમાં બેંકો અને SRLMs સાથે ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરશે
Live TV
-
સમીક્ષા પહેલા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી સ્વસહાય જૂથની દીદીઓ સાથે વિસ્તૃત સંવાદ કરશે
SHG-બેંક લિન્કેજ અને વ્યક્તિગત એન્ટરપ્રાઇઝ ફાઇનાન્સિંગ પર બેંકો અને સ્ટેટ રૂરલ લાઇવલીહુડ્સ મિશન્સ (SRLMs) સાથે એક ઉચ્ચ સ્તરીય બેઠક આજે મુંબઈમાં યોજાશે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજ સિંહ ચૌહાણ કરી રહ્યા છે. કેન્દ્રીય ગ્રામીણ વિકાસ અને સંચાર રાજ્ય મંત્રી ચંદ્રશેખર પેમ્માસાની, માનનીય ગ્રામીણ વિકાસ રાજ્ય મંત્રી કમલેશ પાસવાન અને મહારાષ્ટ્ર સરકારના માનનીય ગ્રામીણ વિકાસ અને પંચાયતી રાજ મંત્રી પણ ઉપસ્થિત રહેશે. સમીક્ષા પહેલા, કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી સ્વસહાય જૂથની દીદીઓ સાથે વિસ્તૃત સંવાદ કરશે, જેમાંની કેટલીક લાખપતિ દીદીઓ છે જેઓ સ્થાપિત ગ્રામીણ સાહસો ચલાવી રહી છે.
ગ્રામીણ વિકાસ મંત્રાલય દિનદયાળ અંત્યોદય યોજના-રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (DAY-NRLM) નું અમલીકરણ કરી રહ્યું છે, જે ગ્રામીણ વિસ્તારોમાં સમુદાય આધારિત સંસ્થાઓનું નિર્માણ કરવા અને તેમને ટકાઉ આજીવિકા સાથે જોડવા માટે ભારત સરકારના મુખ્ય કાર્યક્રમોમાંથી એક છે. છેલ્લા દોઢ દાયકામાં, મિશને 10 કરોડથી વધુ ગ્રામીણ મહિલાઓને 93 લાખથી વધુ સ્વસહાય જૂથો (SHGs) અને તેમના ફેડરેશનોમાં એકત્રિત કરી છે. બેંકિંગ ક્ષેત્ર આ સફરમાં એક મુખ્ય ભાગીદાર રહ્યું છે, જેમાં સતત ઉચ્ચ પુનઃચુકવણી શિસ્તના પીઠબળ સાથે SHGs ને રૂ. 13.67 લાખ કરોડથી વધુનું સંચિત ધિરાણ કરવામાં આવ્યું છે.
સંસ્થાકીય ધિરાણના મજબૂત પ્રવાહે મોટી સંખ્યામાં SHG સભ્યોને આજીવિકા સાહસો સ્થાપવા અને તેનો વિસ્તાર કરવા સક્ષમ બનાવ્યા છે, જેમાં 3.46 કરોડ મહિલાઓ લાખપતિ દીદીઓ તરીકે ઉભરી આવી છે. આમાંના ઘણા સાહસો વૃદ્ધિના તબક્કામાં પ્રવેશ કરી રહ્યા છે અને નવા સાહસો સતત ઉભરી રહ્યા છે, ત્યારે મિશનની આગામી વ્યૂહાત્મક પ્રાથમિકતા મહિલા સંચાલિત સાહસોને પોષવાની, તેમની નાણાકીય પહોંચને મજબૂત કરવાની અને ટકાઉ ગ્રામીણ વ્યવસાયોમાં તેમના પરિવર્તનને ટેકો આપવાની છે.
આ બેઠકમાં ભારતીય રિઝર્વ બેંક, નાણાકીય સેવાઓ વિભાગ, જાહેર ક્ષેત્રની બેંકો, ખાનગી ક્ષેત્રની બેંકો, પ્રાદેશિક ગ્રામીણ બેંકો, સહકારી બેંકો, નાબાર્ડ (NABARD), પીએફઆરડીએ (PFRDA), કેન્દ્રીય મંત્રાલયો, સ્ટેટ રૂરલ લાઇવલીહુડ્સ મિશન્સ અને અન્ય મુખ્ય હિસ્સેદાર સંસ્થાઓના વરિષ્ઠ પ્રતિનિધિઓ હાજરી આપશે.
જાહેર અને ખાનગી ક્ષેત્રની બેંકોના મેનેજિંગ ડિરેક્ટર્સ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ, પ્રાદેશિક ગ્રામીણ બેંકો અને એપેક્સ કોઓપરેટિવ બેંકોના ચેરમેન અને સ્ટેટ રૂરલ લાઇવલીહુડ્સ મિશન્સના ચિફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ હાસલ કરેલી પ્રગતિ અને આગળના માર્ગ અંગે પોતાના વિચારો શેર કરશે. ચર્ચાઓ, અન્ય બાબતોની સાથે, વ્યક્તિગત સાહસ ધિરાણ પોર્ટફોલિયોને બે ગણો કરવા, SHGs ને ચૂકવણીની સરેરાશ માત્રા વધારવા, લોન મંજૂરી અને ચુકવણીમાં ટર્નઅરાઉન્ડ સમય ઘટાડવા, મુશ્કેલ પ્રદેશો સહિત બાકીના SHGs ના ધિરાણ જોડાણને પરિપૂર્ણ (સેચ્યુરેટ) કરવા માટેની વ્યૂહરચનાઓ અને ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક (DCCB) અને પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળી (PACS) સ્તરે સહકારી ધિરાણ માળખાની ભૂમિકાને મજબૂત કરવા પર કેન્દ્રિત હશે.
આ વિચારમંથન ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન 2.0 વિઝનના અમલીકરણ તરફની ભવિષ્યની કાર્યયોજનામાં ઉપયોગી થશે, જેનો હેતુ SHGs માટે સમયસર અને પર્યાપ્ત ધિરાણ, મહિલા સંચાલિત સાહસો માટે સમર્પિત નાણાકીય સહાય અને ગ્રામીણ ભારતમાં ઉચ્ચ સ્તરની નાણાકીય સેવાઓની વ્યાપક પહોંચ સુનિશ્ચિત કરવાનો છે.
