છત્તીસગઢના દુર્ગમાં બસ 50 ફૂટ ખીણમાં ખાબકતા 14 લોકોના મોત
Live TV
-
છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગઈકાલે મોડી રાતે એક બસ મુરમની માટીની ખીણમાં ગરકાવ થતાં મોટી કરુણાંતિકા સર્જાઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 14 લોકો માર્યા ગયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. આ દુર્ઘટના પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિએ પણ દુઃખ વ્યક્ત કર્યું હતું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના ટ્વિટમાં લખ્યું કે છત્તીસગઢના દુર્ગમાં થયેલી દુર્ઘટના વિશે જાણીને ઘણું દુઃખ થયું. જે લોકોએ તેમના પરિજનો ગુમાવ્યાં તેમના પ્રત્યે મારી ઊંડી સંવેદના છે. ઘાયલો જલદી સ્વસ્થ થાય તેવી કામના છે. આ મામલે દુર્ગના કલેક્ટર ઋચા પ્રકાશ ચૌધરીએ મેજિસ્ટ્રેટ તપાસના આદેશ આપ્યા હતા.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે કુમ્હારી વિસ્તારમાં આવેલી કેડિયા ડિસ્ટિલરીઝની બસ કર્મચારીઓ સાથે રવાના થઈ હતી અને બસમાં લગભગ 45 કર્મચારીઓ સવાર હતા. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના મંગળવારે રાત્રે 8.30 કલાકે બની હતી જ્યારે બસ ખાપરી ગામ નજીક પહોંચી હતી અને કાબૂ બહાર જઈને મુરુમ ખાણમાં પડી હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, ઘટનાની માહિતી મળતાં જ પોલીસની એક ટીમ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી અને બચાવ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે કહ્યું કે મૃતદેહો અને ઘાયલોને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે અને બસને ખાણમાંથી બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
