છેલ્લા 7 વર્ષમાં ભારતની વીજ સ્થાપિત ક્ષમતામાં 3 લાખ 95 હજાર મેગા વોટનો વધારો: ઉર્જા મંત્રી આર.કે. સિંઘ
Live TV
-
ઉર્જા મંત્રી આર.કે. સિંઘે કહ્યું છે કે સરકાર તમામ ઘરોમાં અવિરત 24 કલાક વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માંગે છે. તેમણે કહ્યું કે, છેલ્લા 7 વર્ષમાં ભારતે તેની સ્થાપિત ક્ષમતા 3 લાખ 95 હજાર મેગા વોટ વધારી છે જ્યારે સૌથી વધુ માંગ 2 લાખ મેગા વોટ છે. નવી દિલ્હીમાં તેમના મંત્રાલય દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતાં આરકે સિંહે કહ્યું કે ભારતમાં હવે એક સંકલિત રાષ્ટ્રીય ગ્રીડ છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અવિરત વીજ પુરવઠા માટેની બે મુખ્ય જરૂરિયાતો વધુ સારી વિતરણ વ્યવસ્થા અને ડિસ્કોમની સદ્ધરતા છે. તેમણે કહ્યું હતું કે પુનઃપ્રાપ્ય ઊર્જા સેક્ટરમાં રોકાણ માટે ભારત સૌથી ઉત્તમ વિક્લ્પ છે. સિંઘે જણાવ્યું હતું કે વિશ્વને ખાસ કરીને અશ્મિભૂત ઇંધણથી બિન-અશ્મિભૂત ઇંધણ પ્રણાલીમાં ઊર્જા પરિવર્તનની જરૂર છે. તેમણે કહ્યું, જો ઊર્જા સંગ્રહ ઉપકરણોની કિંમત ઘટશે તો સંક્રમણ ઝડપથી થશે. મંત્રીએ કહ્યું કે, ઉચ્ચ કાર્યક્ષમતાવાળા સૌર મોડ્યુલો માટેની PLI યોજના હેઠળ, નાણાં મંત્રાલય વધારાના 19 હજાર 500 કરોડ રૂપિયા આપશે.
આર.કે સિંઘે ભારપૂર્વક જણાવ્યું હતું કે અર્થતંત્રને વિદ્યુતીકરણ કરવું અને વિદ્યુત મિશ્રણમાં નવીનીકરણીય ઉર્જાનો હિસ્સો વધારવો મહત્વપૂર્ણ છે. સિંઘે ઉમેર્યું હતું કે પરિવહન પ્રણાલીમાં વધુ ઇલેક્ટ્રિક વાહનોનો ઉમેરો રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં પ્રદૂષણ ઘટાડવામાં મદદ કરશે. તેમણે કહ્યું કે, નાના ઉદ્યોગોમાં કોલસાના ઉપયોગને બદલવાની જરૂર છે. મંત્રીએ એમ પણ કહ્યું કે 2024 સુધીમાં કૃષિ ક્ષેત્રમાં ડીઝલ પંપને સ્થાને સોલાર પંપને સ્થાન આપવામાં આવશે. તેમણે કહ્યું કે ખેડૂતો આ સંદર્ભે પીએમ કુસુમ યોજનાનો ઉપયોગ કરી શકે છે.
આર.કે સિંહે કહ્યું કે સરકારે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં હરાજીને સરળ બનાવવા માટે પારદર્શક બિડિંગ સિસ્ટમ અને પેમેન્ટ સિક્યુરિટી મિકેનિઝમ મૂક્યું છે. તેમણે કહ્યું કે, તમામ ઉદ્યોગો અને કંપનીઓએ તેમની કુલ ઉર્જા જરૂરિયાતોમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો હિસ્સો વધારવાનો પ્રયાસ કરવો જોઈએ.
