જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 હટાવવાની પાંચમી વર્ષગાંઠ પર એલર્ટ, સુરક્ષા કારણોસર જમ્મુથી અમરનાથ યાત્રીઓનો સમૂહ મોકલાયો નહિ
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની આજે પાંચમી વર્ષગાંઠ છે. કોઈપણ પ્રકારની આતંકવાદી ઘટનાને પહોંચી વળવા માટે સમગ્ર રાજ્યમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સુરક્ષાના કારણોસર સોમવારે જમ્મુથી અમરનાથ યાત્રીઓના સમૂહને મોકલવામાં આવ્યો ન હતો. શ્રીનગરથી પણ અમરનાથ યાત્રીઓનો સમૂહ જમ્મુ નહીં આવે.
દરમિયાન, આતંકવાદી હુમલાના ભયને ધ્યાનમાં રાખીને, જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે સહિત કાશ્મીરમાં સુરક્ષા દળોના કાફલાની અવરજવર પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. જોકે, રોડ ઓપનિંગ પાર્ટી રાબેતા મુજબ હાઇવે અને અન્ય રસ્તાઓ પર તૈનાત રહેશે. જમ્મુ-કાશ્મીરની સરહદો પર પણ સુરક્ષા મજબૂત કરવામાં આવી છે.
રાજ્યભરમાં વિવિધ સ્થળોએ બ્લોક ગોઠવી દેવામાં આવ્યા છે અને આવતા-જતા વાહનોની વ્યાપક તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, પાંચ વર્ષ પહેલા 5 ઓગસ્ટના રોજ જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને બે કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે અલગ કરવામાં આવ્યા હતા. તેમજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 અને 35-એ નાબૂદ કરવામાં આવી હતી.