તમિલનાડુ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રૂ. 20,000 કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં રૂ. 20 હજાર કરોડથી વધુના મૂલ્યની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. તેમાં ઉડ્ડયન, રેલ, માર્ગ, તેલ અને ગેસ અને શિપિંગ અને ઉચ્ચ શિક્ષણ સંબંધિત પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તેમણે રૂ. 1,100 કરોડથી વધુના ખર્ચે બનેલ તિરુચિરાપલ્લી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ટર્મિનલ બિલ્ડિંગનું પણ ઉદ્ઘાટન કર્યું.
આજે અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તિરુચિરાપલ્લીમાં ભારતીદાસન યુનિવર્સિટીના 38મા દીક્ષાંત સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રી કહ્યું હતું કે, ભારત આર્થિક વિકાસના નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં દેશમાં એરપોર્ટની સંખ્યા 74 થી બમણી થઈને લગભગ 150 થઈ ગઈ છે. તેમણે એમ પણ કહ્યું કે 2014 થી દેશના મુખ્ય બંદરો પર કાર્ગો વહન ક્ષમતા પણ બમણી થઈ ગઈ છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતે વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓ સાથે અનેક વેપાર કરારો કર્યા છે, જે ભારતીય વસ્તુઓ અને સેવાઓ માટે નવા બજારો ખોલશે અને દેશના યુવાનો માટે અસંખ્ય તકોનું સર્જન કરશે.
પ્રધાનમંત્રી આજે સવારે તિરુચિરાપલ્લી પહોંચ્યા હતા. તેમની બે દિવસની મુલાકાત દરમિયાન તેઓ તમિલનાડુ ઉપરાંત લક્ષદ્વીપ અને કેરળની પણ મુલાકાત લેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બપોરે લક્ષદ્વીપ પહોંચશે. ત્યાં તેઓ અગાટી દ્વીપમાં વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સંબોધિત કરશે.
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લક્ષદ્વીપમાં કાવારત્તી પહોંચશે જ્યાં તેઓ શિલાન્યાસ કરશે અને રૂ. 1,150 કરોડથી વધુની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન કરશે. જેમાં ટેલિકોમ્યુનિકેશન, પીવાનું પાણી, સૌર ઉર્જા અને આરોગ્ય જેવા ક્ષેત્રો સાથે સંબંધિત વિકાસ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.
