નવસારીમાં PM મોદીએ કાર્યકરો સાથે કરી સંવાદ, સ્વચ્છતા અને ટીબી મુક્તિ અભિયાનના કર્યા વખાણ
Live TV
-
જનસભાને સંબોધતા PM મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના સંસ્મરણો વાગોળ્યા; કહ્યું- દીકરીઓની સફળતા જોઈને અપાર સંતોષ થાય છે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું નવસારી ખાતે ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નવસારીમાં યોજાયેલી જનસભાને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા અને નવસારીના વિકાસકાર્યોની પ્રશંસા કરી હતી. પ્રધાનમંત્રી મોદીએ ખાસ કરીને દીકરીઓની સફળતા અને સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે દીકરીઓને સફળ થતી નિહાળીને તેમને અપાર સંતોષ થાય છે. તેમણે નવસારીના કાર્યકરો દ્વારા કરવામાં આવી રહેલા વિવિધ સેવાકીય અને સામાજિક કાર્યોની પણ પ્રશંસા કરી હતી.
‘નવસારીને ટીબી મુક્ત કરવાનો સંકલ્પ પ્રશંસાને પાત્ર’
પ્રધાનમંત્રી મોદીએ નવસારી જિલ્લાને ટીબી મુક્ત બનાવવાના કાર્યકરોના સંકલ્પની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના વિવિધ વર્ગો સાથે મળીને આવા સંકલ્પને સાકાર કરવા માટે આગળ વધે તે મહત્વપૂર્ણ છે. કાર્યકરોને મળવા અંગે પ્રધાનમંત્રીએ લાગણી વ્યક્ત કરતાં કહ્યું હતું કે કાર્યકરોને મળવું તેમના માટે એક પ્રસંગ જેવી બાબત છે. કાર્યકરો સાથેનો સીધો સંવાદ અને તેમની કામગીરીને નજીકથી જાણવાની તકને તેમણે મહત્વપૂર્ણ ગણાવી હતી.
સ્વચ્છતાને સ્વભાવ અને સંસ્કાર બનાવવાની અપીલ
નવસારીમાં હાથ ધરવામાં આવેલા સ્વચ્છતાના પ્રયાસોની પણ PM મોદીએ પ્રશંસા કરી હતી. તેમણે સ્વચ્છતાને માત્ર અભિયાન પૂરતી મર્યાદિત ન રાખીને તેને સ્વભાવ અને સંસ્કાર બનાવવાનું સૂચન કર્યું હતું. નવસારીમાં માઇક્રો સ્વચ્છતા અભિયાન સહિત સ્વચ્છતા માટે થઈ રહેલા પ્રયાસોને બિરદાવતાં તેમણે સ્વચ્છતા પ્રત્યે સતત જાગૃતિ જાળવવા માટે લોકોને પ્રેરિત કર્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે PM મોદીની દૂરંદેશીતાને બિરદાવી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નવસારી મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દૂરંદેશી નેતૃત્વ અને વિઝનની પ્રશંસા કરી હતી. તેમણે દેશ અને ગુજરાતની વિકાસગાથાનો ઉલ્લેખ કરતાં વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા વિકાસ કાર્યોને રેખાંકિત કર્યા હતા. મુખ્યમંત્રીએ લોકોને ‘સેવા સંકલ્પ અભિયાન’માં જોડાવા માટે પણ અનુરોધ કર્યો હતો.
જગદીશ વિશ્વકર્માએ માઇક્રો સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી
ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરતાં નવસારીમાં ચાલી રહેલા માઇક્રો સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી. તેમણે સ્વચ્છતા ક્ષેત્રે સ્થાનિક સ્તરે થઈ રહેલા પ્રયાસોને મહત્વપૂર્ણ ગણાવીને આવા અભિયાનોને વધુ વ્યાપક બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
C.R. પાટીલે વિવિધ યોજનાઓની સફળતાનો ઉલ્લેખ કર્યો
કેન્દ્રીય મંત્રી અને સાંસદ સી.આર. પાટીલે પણ નવસારીના વિકાસ કાર્યોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે પોષણ આહાર, રોજગારી અને ટીબી મુક્ત નવસારી જિલ્લા સહિતના વિવિધ ક્ષેત્રોમાં કરવામાં આવેલા કાર્યોની સફળતાને રેખાંકિત કરી હતી. તેમણે નવસારીમાં અમલમાં આવેલી વિવિધ યોજનાઓ અને વિકાસલક્ષી કાર્યો માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. પ્રધાનમંત્રીની નવસારી મુલાકાત દરમિયાન વિકાસ, સ્વચ્છતા, આરોગ્ય, રોજગારી અને સામાજિક સેવા જેવા વિવિધ મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ કાર્યકરો અને નાગરિકોના પ્રયાસોની પ્રશંસા સાથે સ્વચ્છતાને જીવનનો સ્વભાવ અને સંસ્કાર બનાવવાનો સંદેશ આપ્યો હતો.
