'ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ માટે સમર્પિત ભારત બનાવીશું': 'સંવિધાન હત્યા દિવસ' પર પ્રધાનમંત્રી મોદીનો સંકલ્પ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે(25 જૂન) 'સંવિધાન હત્યા દિવસ' નિમિત્તે જણાવ્યું હતું કે, 'આ દિવસ આજે આપણને તે કાળા સમયની યાદ અપાવે છે જ્યારે ભારતીય લોકશાહીને નિર્દયતાથી કચડી નાખવામાં આવી હતી. આપણે એવા ભારતનું નિર્માણ કરવા માટે કટિબદ્ધ છીએ, જે ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વના આદર્શો પ્રત્યે હંમેશા સમર્પિત રહે.'
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પીએમ મોદીએ લખ્યું કે, 'આજે આપણે તે તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપીએ છીએ, જેમણે ભારતના ઇતિહાસના સૌથી કાળા સમયગાળા પૈકીના એક, એટલે કે 'કટોકટી' (ઇમરજન્સી) દરમિયાન લોકશાહી મૂલ્યોનું મજબૂતીથી રક્ષણ કર્યું હતું.'
તેમણે વધુમાં લખ્યું કે, 'કટોકટી એ આપણા બંધારણ પર સીધો હુમલો હતો. તે દરમિયાન નાગરિક સ્વતંત્રતા છીનવી લેવામાં આવી હતી. અભિવ્યક્તિની આઝાદી પર રોક લગાવવામાં આવી હતી. રાજકીય નેતાઓ, પત્રકારો અને સમાજસેવકોની ધરપકડ કરવામાં આવી હતી અને જે સંસ્થાઓ આપણા લોકશાહીનો પાયો છે, તેના પર હુમલા કરવામાં આવ્યા હતા. તે સમયગાળાએ અગણિત નાગરિકોનું અસાધારણ સાહસ પણ દર્શાવ્યું, જેમણે ચૂપ રહેવાનો ઇનકાર કર્યો અને આપણા બંધારણમાં સમાવિષ્ટ આદર્શોને જાળવી રાખ્યા.'
પીએમ મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, 'આપણે બંધારણીય મૂલ્યોના રક્ષણ માટે આપણી સામૂહિક પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ. આપણા બંધારણની ભાવનાથી પ્રેરાઈને, આપણે એક એવું ભારત બનાવીશું જે ન્યાય, સ્વાતંત્ર્ય, સમાનતા અને બંધુત્વ માટે હંમેશા પ્રતિબદ્ધ રહે.'
અન્ય એક પોસ્ટમાં પીએમ મોદીએ સંસ્કૃત સુભાષિત શેર કરતા લખ્યું કે, 'સ્વાતંત્ર્યાત્ સુખમાપ્નોતિ સ્વાતંત્ર્યાલ્લભતે પરમ્। સ્વાતંત્ર્યાન્નિર્વૃત્તિં ગચ્છેત્ સ્વાતંત્ર્યાત્ પરમં પદમ્॥' અર્થાત 'સ્વાતંત્ર્યથી જ મનુષ્ય સુખ પ્રાપ્ત કરે છે, સ્વાતંત્ર્યથી જ તે સર્વોચ્ચ સિદ્ધિ મેળવે છે, સ્વાતંત્ર્યથી જ તે શાંતિ પામે છે અને સ્વાતંત્ર્યના માધ્યમથી જ તે પરમ પદને પ્રાપ્ત કરે છે.'
