પદ કોઈ એક વ્યક્તિનું નથી, તમામ માટે એક સમાન નિયમ: ઓમ બિરલા
Live TV
-
લોકસભામાં અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, સંસદીય લોકતંત્રની વ્યવસ્થામાં પૂર્ણ વિશ્વાસ તમામ સભ્યોને સમાન તક આપવાની કોશિશ કરી.
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને નીચલા ગૃહમા ફગાવી દેવામાં આવ્યા બાદ આજે ઓમ બિરલાએ ફરીથી લોકસભાની કાર્યવાહીનું સંચાલન સંભાળ્યું હતું. આ દરમિયાન તેમણે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદોએ લગાવેલા આરોપોનો સ્પષ્ટ અને નિયમબદ્ધ જવાબ આપ્યો હતો. જેમાં અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું હતું કે, આ પદ કોઈ એક વ્યક્તિનું નથી. તમામ સભ્યો માટે એક સમાન નિયમ લાગુ કરાયા છે. તેમણે વધુમાં કહ્યું, સંસદીય લોકતંત્રની વ્યવસ્થામાં પૂર્ણ વિશ્વાસ છે, સદનમાં લાખો નાગરિકોનો જનાદેશ રજૂ થાય છે અને તમામ સભ્યોને સમાન તક આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. અધ્યક્ષ પરની અવિશ્વાસની દરખાસ્તનો ઉલ્લેખ કરતા ઓમ બિરલાએ કહ્યું કે, બે દિવસમાં 12 કલાકથી વધુ સમય ચર્ચા ચાલી હતી. જે દરમિયાન સભ્યોએ ગૃહની કાર્યકુશળતા, સંસદની વૈશ્વિક ઉપલબ્ધીની વાત કરી હતી...
લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ શું કહ્યું ?
નિયમો અને પ્રક્રિયા પર ભાર મૂકતાં અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, ગૃહમાં કોઈપણ નેતા – ભલે તે વડાપ્રધાન હોય કે વિપક્ષના નેતા તેમને નિયમો અને પ્રક્રિયા મુજબ જ બોલવા દેવામાં આવે છે. રાહુલ ગાંધીને કોઈ વિશેષાધિકાર નથી અને કોઈને પણ નિયમોથી બહાર જઈને બોલવાનો અધિકાર નથી. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "સદન નિયમોથી જ ચાલે છે અને ભવિષ્યમાં પણ નિયમો તથા પ્રક્રિયા અનુસાર જ ચાલશે – ભલે કોઈ સંમત હોય કે અસંમત હોય."
ઓમ બિરલાએ કહ્યું કે, આ સદન 140 કરોડ નાગરિકોની સાર્વભૌમ ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે, મેં હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે ગૃહની અંદર દરેક સભ્ય નિયમો અને પ્રક્રિયા અનુસાર પોતાના વિચારો વ્યક્ત કરે. જ્યારે પણ લોકમતના કોઈ મુદ્દાની ચર્ચા થાય છે, ત્યારે ભલે તે વડાપ્રધાન હોય કે મંત્રીઓ હોય, તેમને નિયમ 370 હેઠળ અધ્યક્ષની પૂર્વાનુમતિ લેવી પડે છે. ઓમ બિરલાએ કહ્યું કે કોઈ સભ્યને નિયમોથી બહાર જઈને બોલવાનો અધિકાર નથી. તેમણે કહ્યું કે આપણા દેશમાં નિયમોનું સન્માન કરવાની સમૃદ્ધ પરંપરા રહી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ સદન નિયમ અને પ્રક્રિયાથી જ ચાલશે – ભલે કોઈ સંમત હોય કે અસંમત હોય.
