પીએમ મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ વચ્ચે કોવિડ-19 અંગે ટેલીફોનિક ચર્ચા થઇ
Live TV
-
પ્રધાનમંત્રીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, મુશ્કેલીના આ સમયમાં ભારત દવાઓનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે પોતાના તરફથી શક્ય એવા તમામ પ્રયાસો કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇજિપ્તના રાષ્ટ્રપતિ શ્રી અબ્દેલ ફત્તાહ અલ-સિસિ વચ્ચે આજે ટેલીફોન પર ચર્ચા થઇ હતી. બંને નેતાએ કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી વૈશ્વિક સ્થિતિ અંગે ચર્ચા કરી હતી અને પોતાના દેશમાં લોકોની સુરક્ષા માટે તેમની સરકારોએ લીધા પગલાં અંગે માહિતીનું આદાનપ્રદાન કર્યું હતું. તેઓ એકબીજા સાથે પોતાના અનુભવો અને શ્રેષ્ઠ આચરણોના સતત વિનિમય માટે સંમત થયા હતા.
પ્રધાનમંત્રીએ ઇજિપ્તના રાષ્ટ્રપતિને ખાતરી આપી હતી કે, મુશ્કેલીના આ સમયમાં ભારત દવાઓનો પૂરવઠો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થાય તે સુનિશ્ચિત કરવા માટે પોતાના તરફથી શક્ય એવા તમામ પ્રયાસો કરશે. ઇજિપ્તમાં વસતા ભારતીય નાગરિકોને સહકાર આપવા બદલ તેમણે રાષ્ટ્રપતિ અલ-સિસિનો આભાર વ્યક્ત કર્યો હતો. બંને નેતાઓ એ વાતે સંમત થયા હતા કે, તેમની ટીમો એકબીજાના સંપર્કમાં રહેશે જેથી નીકટતાપૂર્વક સંકલન અને અનુભવોનું આદાનપ્રદાન થઇ શકે.
