પીએમ મોદી 23-24 જુલાઈએ બ્રિટનની સત્તાવાર મુલાકાતે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 23 થી 26 જુલાઈ દરમિયાન એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય વિદેશ યાત્રા પર રવાના થશે. આ યાત્રામાં તેઓ યુનાઇટેડ કિંગડમ અને માલદીવનો પ્રવાસ કરશે. આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતના વ્યાપારી અને વ્યૂહાત્મક સંબંધોને મજબૂત કરવાનો છે.
પીએમ મોદી તેમની યાત્રાના પ્રથમ તબક્કામાં 23-24 જુલાઈના રોજ બ્રિટન પહોંચશે. ત્યાં ભારત-બ્રિટન મુક્ત વ્યાપાર સમજૂતી (FTA) પર હસ્તાક્ષર કરવામાં આવશે. આ સમજૂતીથી 99 ટકા ભારતીય નિકાસ પર ટેરિફ સમાપ્ત થઈ જશે, જે ભારતીય ઉત્પાદનો માટે મોટો ફાયદો છે. વધુમાં બ્રિટિશ ઉત્પાદનો જેવા કે વ્હીસ્કી અને કારોને ભારતીય બજાર સુધી પહોંચાડવામાં સરળતા રહેશે.
પ્રધાનમંત્રી મોદીની બ્રિટનની ચોથી સત્તાવાર મુલાકાત હશે
ભારત અને બ્રિટન વચ્ચે આ સમજૂતી પર છેલ્લા ત્રણ વર્ષથી વાતચીત ચાલી રહી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય વેપાર અવરોધોને દૂર કરવો અને દ્વિપક્ષીય વેપારને પ્રોત્સાહન આપવાનો હતો. આ સમજૂતી ફક્ત આર્થિક સંબંધોને જ ઊંડા નહીં બનાવે, પરંતુ સુરક્ષા અને રણનીતિને પણ મજબૂત કરશે.
બ્રિટન બાદ પીએમ મોદી માલદીવની સત્તાવાર મુલાકાતે જશે
પીએમ મોદી 25-26 જુલાઈના રોજ માલદીવ્સ જશે, જ્યાં તેઓ 60માં રાષ્ટ્રીય દિવસ સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ભાગ લેશે. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુના કાર્યકાળમાં પીએમ મોદીની આ પ્રથમ યાત્રા છે, જે અનેક દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ખાસ કરીને 'ઈન્ડિયા આઉટ' અભિયાન અને વર્તમાન સરકારની ચીન-સમર્થક નીતિને કારણે તાજેતરના વર્ષોમાં ભારત-માલદીવ્સ સંબંધો તણાવભર્યા રહ્યા છે.
પીએમ મોદીની છેલ્લી દ્વિપક્ષીય માલદીવ યાત્રા જૂન 2019 માં હતી. જોકે, રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝ્ઝુએ તેમના ચૂંટણી પછી ઓક્ટોબર 2024માં ભારતનો પ્રવાસ કર્યો હતો, જેણે બંને દેશોના સંબંધોમાં સુધારો કરવા માટે એક સંકેત આપ્યો હતો. હવે પીએમ મોદીની આ યાત્રા પારસ્પરિક સન્માન અને સહયોગની ભાવનાને વધુ મજબૂત કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે.
