પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતમાં મારુતિ સુઝુકીની પ્રથમ વૈશ્વિક ઇલેક્ટ્રિક કાર 'ઈ-વિટારા'ને લીલી ઝંડી આપશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે ગુજરાતના અમદાવાદમાં સુઝુકી મોટર પ્લાન્ટની મુલાકાત લેશે. જ્યાં તેઓ હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સના સ્થાનિક ઉત્પાદનનું ઉદ્ઘાટન કરશે અને જાપાન અને કેટલાક યુરોપિયન દેશો સહિત 100થી વધુ દેશોમાં નિકાસ માટે મારુતિ સુઝુકીનું પ્રથમ વૈશ્વિક બેટરી ઇલેક્ટ્રિક વાહન (BEV), ઇ-વિટારા લોન્ચ કરશે. સાથે તેઓ આ પ્રસંગે એક સભાને પણ સંબોધશે.
ઇલેક્ટ્રિક વાહન અને બેટરી ક્ષેત્ર માટે એક મહત્વપૂર્ણ પગલામાં, હાઇબ્રિડ બેટરી ઇલેક્ટ્રોડ્સનું સ્થાનિક ઉત્પાદન તોશિબા, ડેન્સો અને સુઝુકીના સંયુક્ત સાહસ, TDS લિથિયમ-આયન બેટરી પ્લાન્ટ ખાતે શરૂ થશે. આનાથી હવે 80 ટકાથી વધુ બેટરી સ્વદેશી રીતે બનશે, જે ભારતના સ્વચ્છ ઉર્જા અને ઉત્પાદન લક્ષ્યોને વેગ આપશે.
ભારતની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ જાન્યુઆરી 2025માં ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પોમાં 'ઈ-વિટારા'નું પ્રદર્શન કર્યું હતું. કંપનીના ચાર ભારતીય યુનિટની કુલ વાર્ષિક ક્ષમતા 26 લાખ યુનિટ છે અને નાણાકીય વર્ષ 25માં તેણે 3.32 લાખ વાહનોની નિકાસ કરી હતી અને સ્થાનિક બજારમાં 19.01 લાખ યુનિટ વેચ્યા હતા. મંગળવારથી હાંસલપુર પ્લાન્ટમાં 'ઈ-વિટારા'નું વાણિજ્યિક ઉત્પાદન શરૂ થશે. આ સિદ્ધિ સાથે, ભારત હવે સુઝુકી માટે ઇલેક્ટ્રિક વાહનોનું વૈશ્વિક ઉત્પાદન કેન્દ્ર બનશે.
આ પહેલો ભારતને ઇલેક્ટ્રિક મોબિલિટી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસમાં વૈશ્વિક કેન્દ્ર બનાવવાના સરકારના વ્યાપક વિઝન સાથે સુસંગત છે. ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા તરફ આ એક મહત્વપૂર્ણ પગલું છે. આ ઉપરાંત, રેલ્વે ક્ષેત્રમાં, પ્રધાનમંત્રી મોદી લગભગ રૂ. 1,400 કરોડના પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરશે, જેમાં ૬૫ કિમી લાંબી મહેસાણા-પાલનપુર રેલ્વે લાઇનના ડબલિંગ માટે રૂ. 530 કરોડનો પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે.
