પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શ્રીનગરમાં 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું કરશે નેતૃત્વ
Live TV
-
આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આ વર્ષની થીમ 'સ્વયં અને સમાજ માટે યોગ'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 20 જૂને શ્રીનગરમાં શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC)માં 'એમ્પાવરિંગ યુથ, ટ્રાન્સફોર્મિંગ J&K' કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી જમ્મૂ અને કાશ્મીરમાં અનેકવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદ્દઘાટન અને શિલાન્યાસ કરશે. તેઓ કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતા સુધારણા પ્રોજેક્ટ (JKCIP) પણ શરૂ કરશે.
પ્રધાનમંત્રી 21 જૂને શ્રીનગરમાં SKICCમાં 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમમાં સહભાગી થશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે જનમેદનીને સંબોધનીને CYP યોગ સત્રમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી જમ્મૂ કાશ્મીરમાં રૂ. 1500 કરોડથી વધારેના 84 મુખ્ય વિકાસકાર્યોનો શિલાન્યાસ અને ઉદ્દઘાટન કરશે. ઉદ્દઘાટનમાં રોડ સુવિધા, પાણી પુરવઠાની યોજનાઓ અને ઉચ્ચ શિક્ષણ સુવિધા સાથે સંબંધિત વિવિધ પ્રોજેક્ટ સામેલ હશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ચેનાની-પટનીટોપ-નાશરી વિભાગમાં સુધારો, ઔદ્યોગિક વસાહતોનો વિકાસ અને 06 સરકારી ડિગ્રી કોલેજોના નિર્માણ જેવા વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે.
પ્રધાનમંત્રી રૂ. 1800 કરોડના કૃષિ અને આનુષંગિક ક્ષેત્રોમાં સ્પર્ધાત્મકતાનાં સુધારા પ્રોજેક્ટનો પણ શુભારંભ કરશે. આ પરિયોજનાનો અમલ જમ્મૂ અને કાશ્મીરનાં 20 જિલ્લાઓમાં 90 બ્લોક્સમાં થશે. સાથે જ આ પ્રોજેક્ટ 3 લાખ કુટુંબો સુધી પહોંચશે. જેમાં 15 લાખ લાભાર્થીઓ સામેલ હશે.
પ્રધાનમંત્રી સરકારી નોકરીમાં નિયુક્ત 2000થી વધારે વ્યક્તિઓને નિમણૂકપત્રોનું વિતરણ પણ કરશે. આ યોજનાઓનો શિલાન્યાસ/ઉદ્દઘાટન અને શુભારંભ જમ્મૂ-કાશ્મીરમાં યુવાનોને સશક્ત બનાવશે તથા માળખાગત સુવિધાઓમાં સુધારો કરશે.
આંતરરાષ્ટ્રીય યોગ દિવસઃ
21મી જૂન 2024ના રોજ 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY)ના અવસરે, પ્રધાનમંત્રી શ્રીનગરના SKICC ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કરશે. આ વર્ષે ઉજવણીનો ઉદ્દેશ્ય હજારો લોકોને યોગની પ્રેક્ટિસમાં જોડવાનો, વૈશ્વિક સ્તરે આરોગ્ય અને સુખાકારીને પ્રોત્સાહન આપવાનો છે.
વર્ષ 2015થી પ્રધાનમંત્રીએ દિલ્હી, ચંદીગઢ, દહેરાદૂન, રાંચી, લખનઉ, મૈસૂર અને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રનાં મુખ્યાલય સહિત વિવિધ પ્રતિષ્ઠિત સ્થળો પર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું છે.
આ વર્ષની થીમ 'સ્વયં અને સમાજ માટે યોગ' વ્યક્તિગત અને સામાજિક સુખાકારીને પ્રોત્સાહન આપવામાં બેવડી ભૂમિકા પર પ્રકાશ પાડે છે. આ કાર્યક્રમ ગ્રામીણ વિસ્તારોમાં યોગના પ્રસારને પ્રોત્સાહિત કરશે.