બિહારનાં મુઝફ્ફરપુરની ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 6 લોકોનાં કરૂણ મોત
Live TV
-
બિહારનાં મુઝફ્ફરપુરનાં બેલા ઔદ્યોગિક વિસ્તારમાં કુરકુરે અને નુડલ્સ ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 6 લોકોનાં કરૂણ મોત થયા છે. મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પણ મળી રહ્યા છે. નજીકની ફેક્ટરીઓનાં લોકોને ઈજા થઈ હોવાના પણ અહેવાલ છે. આશંકા છે કે મૃત્યુ આંક વધી શકે છે. વિસ્ફોટનાં કારણે આસપાસની ધરતી ધ્રૂજી ઉઠી હતી. જેથી લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. જો કે, બાદમાં તેઓને જાણવા મળ્યું હતું કે બોઈલર ફાટવાને કારણે ધરતી હચમચી ગઈ હતી.
મુઝફ્ફરપુરનાં ડીએમ પ્રણવ કુમારે નુડલ બનાવતી ફેક્ટરીમાં બોઈલર ફાટવાથી 6 લોકોનાં મોત થયાની પુષ્ટિ કરી હતી. તેમને કહ્યું કે, મોટાભાગના લોકો વિસ્ફોટ અને વરાળને કારણે મૃત્યુ પામ્યા હતા અને કેટલાક ઇમારતના કાટમાળ નીચે દટાયા હતા. અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી કારણ કે મૃતદેહો ખરાબ રીતે દાઝી ગયા હતા. ઘટનાનું ચોક્કસ કારણ તાત્કાલિક જાણી શકાયું નથી. અનેક લોકો ફેક્ટરીની અંદર ફસાયા હોવાની આશંકા છે. હાલ રાહત અને બચાવ કાર્ય કરવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારની ફેક્ટરીમાં થયેલ દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રીએ મૃતકોના પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઈજાગ્રસ્ત વ્યક્તિઓ જલ્દીઓ સ્વસ્થ થાય તેની કામના કરી.
