Skip to main content
Settings Settings for Dark

મન કી બાતઃ પ્રધાનમંત્રીએ સ્વદેશી રક્ષા શક્તિથી લઈને સામાજિક પરિવર્તન સુધીની વાત કરી

Live TV

X
  • જૂન મહિનો ભારત માટે ઘણી સિદ્ધિઓ અને પ્રેરણાદાયી પહેલોનો સાક્ષી રહ્યો છે, એમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેમના માસિક રેડિયો કાર્યક્રમ 'મન કી બાત' માં જણાવ્યું હતું. સ્વદેશી સંરક્ષણ ક્ષમતા, ઉડ્ડયન ક્ષેત્રમાં પ્રગતિ, યોગની વૈશ્વિક લોકપ્રિયતા, આસામમાં હરગીલા સંરક્ષણ અભિયાન, નાગાલેન્ડમાં રમતગમતને પ્રોત્સાહન આપવાની પહેલ અને સામાજિક સુરક્ષા યોજનાઓનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, દેશના વિવિધ ક્ષેત્રોમાં થઈ રહેલા સકારાત્મક ફેરફારો આત્મનિર્ભર ભારત તરફ નવી ઊર્જા આપી રહ્યા છે.

    મન કી બાતની 135મી આવૃત્તિમાં વાતચીત કરતા પ્રધાનમંત્રીએ કહ્યું કે, વર્ષ 2026નો અડધો ભાગ પસાર થવાનો છે અને છેલ્લા છ મહિનામાં દેશે ઘણા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે. ખાસ કરીને જૂન મહિનો ઘણી નોંધપાત્ર સિદ્ધિઓ અને પ્રેરણાદાયી ઘટનાઓથી ભરેલો હતો. આ સફળતાઓએ માત્ર દેશની ક્ષમતાઓનું જ પ્રદર્શન કર્યું નથી, પરંતુ નાગરિકોમાં વિશ્વાસ પણ જગાવ્યો છે. તેમણે કહ્યું કે તાજેતરમાં જ ભારતીય નૌકાદળના કાફલામાં ત્રણ નવા યુદ્ધજહાજોને સામેલ કરવામાં આવ્યા છે. આ યુદ્ધ જહાજોની રચના, નિર્માણ અને તકનીકી વિકાસ ભારતમાં જ થયો છે, જે આત્મનિર્ભર ભારત અભિયાનની સફળતાની સાક્ષી છે. તેમણે કહ્યું હતું કે, દેશ હવે સંરક્ષણ ઉત્પાદનના ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યો છે અને સ્વદેશી ટેકનોલોજી પર આધારિત પ્રણાલીઓ રાષ્ટ્રીય સુરક્ષાને વધુ મજબૂત બનાવી રહી છે.

    પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આ મહિનાની શરૂઆતમાં, ભારતીય નિર્મિત સી-295 લશ્કરી પરિવહન વિમાને તેની પ્રથમ સફળ ઉડાન ભરી હતી. આ માત્ર વિમાનની ઉડાન નથી, પરંતુ ભારતના ઉડ્ડયન અને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રની નવી ઉડાન છે. દેશમાં આવા 40 વિમાનોનું નિર્માણ થવાનું છે, જે એરોસ્પેસ ક્ષેત્રને મજબૂત બનાવશે અને યુવાનો માટે રોજગારીની નવી તકોનું સર્જન કરશે. તેનાથી મોટી સંખ્યામાં એમએસએમઈ એકમો અને ભારતીય ઉદ્યોગોને પણ લાભ થશે. પ્રધાનમંત્રીએ સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (ડી.આર.ડી.ઓ.) ના વૈજ્ઞાનિકોની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે, તાજેતરમાં સ્વદેશી લોંગ રેન્જ લેન્ડ એટેક ક્રૂઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ સિદ્ધિ ભારતની સંરક્ષણ ક્ષમતાને વધુ મજબૂત બનાવે છે અને દર્શાવે છે કે, દેશ અત્યાધુનિક લશ્કરી તકનીકોના વિકાસમાં ઝડપી પ્રગતિ કરી રહ્યો છે.

    આંતરરાષ્ટ્રીય યોગ દિવસની સફળતાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે, આ વર્ષે સમગ્ર વિશ્વમાં અભૂતપૂર્વ ઉત્સાહ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, યોગ સંબંધિત કાર્યક્રમો વિશ્વના 2500 થી વધુ મહત્વપૂર્ણ સ્થળોએ યોજાયા હતા. ભારત સહિત ઘણા દેશોમાં લાખો લોકોએ યોગ અપનાવીને સ્વસ્થ જીવન માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવી હતી. પ્રધાનમંત્રીએ અમદાવાદમાં યોજાયેલી વિશ્વ યોગાસન ચેમ્પિયનશિપ 2026નો પણ ઉલ્લેખ કર્યો હતો. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, ભારતીય રમતવીરોએ આ સ્પર્ધામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને 102 સુવર્ણ ચંદ્રકો સહિત કુલ 114 ચંદ્રકો જીત્યા હતા. આ સિદ્ધિ વિશ્વ મંચ પર ભારતની યોગ પરંપરા અને રમતગમતની પ્રતિભાને દર્શાવે છે.

    આસામમાં ચાલી રહેલા હરગીલા સંરક્ષણ અભિયાન અંગે પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, એક સમય હતો જ્યારે સમાજમાં હરગીલા પક્ષી વિશે ઘણી દંતકથાઓ અને અંધશ્રદ્ધાઓ હતી. લોકો તેને અશુભ માનતા હતા અને તેના માળાઓથી વૃક્ષો પણ કાપી નાખતા હતા. પ્રખ્યાત જીવવિજ્ઞાની પૂર્ણિમા દેવી બર્મન અને સ્થાનિક મહિલાઓના પ્રયાસોએ આ સ્થિતિને બદલી નાખી. પ્રધાનમંત્રીએ કહ્યું કે, હજારો મહિલાઓએ સાથે મળીને 'હરગીલા આર્મી' ની રચના કરી અને આ દુર્લભ પક્ષીના સંરક્ષણ માટે અભિયાન શરૂ કર્યું. આજે આ પક્ષી સ્થાનિક સમુદાય માટે ગર્વની વાત બની ગયું છે. આ અભિયાન દર્શાવે છે કે જનભાગીદારી અને જાગૃતિ દ્વારા સામાજિક વિચારધારાને બદલી શકાય છે. તેમણે નાગાલેન્ડમાં રમતગમતને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલી પહેલની પણ પ્રશંસા કરી હતી. 'નાગાલેન્ડ બેબી લીગ' પર તેમણે કહ્યું કે, તે પાંચથી 12 વર્ષની વય જૂથના બાળકો માટે એક વિશિષ્ટ ફૂટબોલ લીગ છે. આ પહેલ માત્ર બાળકોને રમતગમત સાથે જોડવા સુધી મર્યાદિત નથી, પરંતુ તેમની પ્રતિભા, આત્મવિશ્વાસ અને વ્યક્તિત્વ વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ લીગની શરૂઆત નાગાલેન્ડના વધુને વધુ બાળકોને ફૂટબોલ સાથે જોડવાના ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. લીગને હવે ત્રણ વર્ષ પૂર્ણ થયા છે અને તેમાં છોકરાઓ અને છોકરીઓ બંને ભાગ લે છે. આ પહેલની બાળકો પર સકારાત્મક અસર પડી છે અને રાજ્યમાં રમતગમતની સંસ્કૃતિને મજબૂત બનાવી છે.

    પ્રધાનમંત્રી મોદીએ 'નાગાલેન્ડ વિમેન ફુટસલ લીગ "નો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, ફૂટસલ એક ઝડપી ગતિવાળી રમત છે જે નાના મેદાન પર પાંચ ખેલાડીઓની ટીમ દ્વારા રમાય છે. આ રમતમાં ખેલાડીઓએ ઝડપી નિર્ણયો લેવા પડે છે અને તેમની તકનીકી ક્ષમતાનો વધુ સારો ઉપયોગ કરવો પડે છે. આ લીગ નાગાલેન્ડની દીકરીઓને તેમની પ્રતિભા દર્શાવવા અને મહિલાઓની રમતોમાં ભાગીદારીને પ્રોત્સાહિત કરવા માટે મહત્વપૂર્ણ મંચ પ્રદાન કરી રહી છે. તેમણે કહ્યું હતું કે, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના દેશના ગરીબ અને ઓછી આવક ધરાવતા લોકોને સુરક્ષા પૂરી પાડવાનું અસરકારક માધ્યમ બની ગયું છે. અત્યાર સુધીમાં 58 કરોડથી વધુ લોકો આ યોજનામાં જોડાયા છે, જે માત્ર 20 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો આપે છે.

    પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે આ યોજના કરોડો પરિવારોને સુરક્ષા પણ પૂરી પાડી રહી છે. માત્ર 436 રૂપિયાના વાર્ષિક પ્રીમિયમ પર 2 લાખ રૂપિયાનું જીવન વીમા કવચ પ્રદાન કરતી આ યોજનાથી અત્યાર સુધીમાં 27 કરોડથી વધુ લોકોને લાભ થયો છે. પ્રધાનમંત્રીએ લોકોને આ યોજનાઓ વિશેની માહિતી શક્ય તેટલી વધુ લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી.

    પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લાના બહાદુરપુરા ગામના પેથકર પરિવારનું ઉદાહરણ પણ શેર કર્યું હતું. તેમણે કહ્યું કે, પરિવારે લગ્ન સમારંભના પ્રસંગે પરંપરાગત ભેટો આપવાને બદલે ગામના લગભગ 3,500 લોકો માટે અકસ્માત વીમો લેવાનું નક્કી કર્યું. આ પહેલ હેઠળ દરેક વ્યક્તિને એક લાખ રૂપિયાનું વીમા કવચ આપવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ પહેલ સમાજ પ્રત્યેની જવાબદારી અને સંવેદનશીલતાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે લોકોને અપીલ કરી હતી કે, તેઓ તેમના જીવનના વિશેષ પ્રસંગોને સામાજિક કાર્યો સાથે જોડવાનો પ્રયાસ કરે અને જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
apply