રાજસ્થાન: બનાસ નદીમાં નહાવા પડેલા 11 માંથી 7 યુવકોના ડૂબી જવાથી મોત, CM ભજનલાલે દુઃખ વ્યક્ત કર્યું
Live TV
-
રાજસ્થાનના ટોંકમાંથી આજે મંગળવારે મોટી દુર્ઘટના સામે આવી છે, જ્યાં બનાસ નદીમાં નહાવા પડેલા 11 યુવકોમાંથી 7ના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે અન્ય યુવકોની શોધખોળ કરવામાં આવી રહી છે. સમગ્ર મામમે પોલીસ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. જ્યારે ઘટનામાં મૃતક યુવકોના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેવડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાને લઈને મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મુકીને દુઃખ વ્યક્ત કર્યું હતું.
મળતી માહિતી મુજબ, આ ઘટના બનાસ નદીના જૂના પુલ પાસે બની રહી છે. બનાસ નદીમાં 11 યુવાનો નહાવા ગયા હતા, ત્યારે તેઓ નદીની ઊંડાણ વાળી જગ્યાએ પહોંચ્યા ડૂબ્યા હતા. યુવાનોના ડૂબવાની માહિતી મળતા જ ઘટનાસ્થળે મોટી ભીડ એકઠી થઈ ગઈ હતી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી 8 યુવાનોને નદીમાંથી બહાર કાઢ્યા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
હોસ્પિટલ મેનેજમેન્ટે પુષ્ટિ આપી છે કે, 7 યુવકોના મોત થયા છે. આ ઉપરાંત હોસ્પિટલમાં અન્ય એક વ્યક્તિની સારવાર ચાલી રહી છે. વહીવટીતંત્ર અને પોલીસ ઘટનાસ્થળે હાજર છે. રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. તમામ મૃતકો જયપુરના રહેવાસી હોવાનું કહેવાય છે. આટલા મોટા અકસ્માત બાદ સઆદત હોસ્પિટલમાં ભારે ભીડ એકઠી થઈ ગઈ હતી. આ સાથે પોલીસ અધિક્ષક વિકાસ સાંગવાન, અધિક પોલીસ અધિક્ષક બ્રિજેન્દ્ર સિંહ ભાટી પણ ઘટનાસ્થળે હાજર છે. 3 યુવાનો હજુ પણ ગુમ છે, જેમની શોધખોળ ચાલી રહી છે.
સમગ્ર ઘટના મામલે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ દુઃખ વ્યક્ત કર્યું. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું કે, 'ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ડૂબી જવાથી યુવાનોના મૃત્યુના સમાચાર અત્યંત દુઃખદ અને પીડાદાયક છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓને તાત્કાલિક બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા સૂચના આપવામાં આવી હતી. હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, મૃતકોના આત્માને શાંતિ આપે...'