રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પોતાનું નવું પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' ભેટ કર્યું
Live TV
-
રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પોતાના નવા પુસ્તક 'કોલ ઓફ ધ ગીર'ની પ્રથમ નકલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી નિવાસ ખાતે એક નાનકડા પારિવારિક મિલન કાર્યક્રમમાં ભેટ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ આ પુસ્તકને ગરિમાપૂર્વક સ્વીકાર્યું હતું.
આ પ્રસંગે, નથવાણીએ તેમનું આ પુસ્તક પ્રધાનમંત્રીને 'પ્રોજેક્ટ લાયન અને Lion@2047: અમૃતકાળની પરિકલ્પના'ના આર્ષદૃષ્ટા તરીકે સમર્પિત કર્યું છે. આ પુસ્તકમાં વડાપ્રધાનનો સંદેશ પણ સામેલ છે.પુસ્તક અર્પણ કર્યા બાદ, નથવાણી સાથેના અનૌપચારિક સંવાદમાં, પ્રધાનમંત્રીએ ગીરના પ્રવાસન અંગે પૃચ્છા કરી હતી અને ગીરમાં વિદેશી પ્રવાસીઓને આકર્ષવા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાની જરૂરીયાત પર ભાર મૂક્યો હતો. ગીર અભયારણ્યની આસપાસ વનીકરણને સઘન બનાવવાની તાતી જરૂરીયાત હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ આ સુંદર કોફી ટેબલ બૂક બહાર પાડવા અંગેની સાંસદ નથવાણીની પ્રતિબદ્ધતાને બિરદાવતા જણાવ્યું હતું કે તેમણે વ્યાવસાયિક અને જાહેરજીવનની જવાબદારીઓને સંતુલિત કરીને 'કોલ ઓફ ધ ગીર'(ગીરના સાદ)નો પ્રત્યુત્તર આપ્યો છે.
'કોલ ઓફ ધ ગીર'એ સાંસદ નથવાણીની વધુ એક કોફી-ટેબલ બુક છે. ખ્યાતનામ આંતરરાષ્ટ્રીય પ્રકાશક ક્વિગનોગ દ્વારા તેનું પ્રકાશન કરાયું છે. અગાઉ 2017માં, શ્રી નથવાણીએ પુસ્તક 'ગીર લાયન્સઃ પ્રાઈડ ઓફ ગુજરાત' લખ્યું હતું, જેનું પ્રકાશન ટાઈમ્સ ગ્રુપ બુક્સ દ્વારા કરાયું હતું. રાજ્યસભાના સાંસદ તેમજ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સના ડાયરેક્ટર પરિમલ નથવાણીએ આ પ્રસંગે પ્રધાનમંત્રીના આ પુસ્તકના આદરપૂર્વક સ્વીકાર બદલ આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે, "મારા માટે એ અત્યંત ગર્વની વાત છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પુસ્તકને ધીરજપૂર્વક નિહાળ્યું છે. અગાઉ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા તે સમયે અને હાલ તેઓ ભારતના પ્રધાનમંત્રી છે ત્યારે પણ તેમણે ગીર, ગુજરાતમાં એશિયાટિક સિંહોના સંવર્ધન અને રક્ષણ માટે ઘણું કામ કર્યું છે."
