રાષ્ટ્રપતિ મુર્મૂએ કતારના અમીર શેખ સાથે રાત્રિભોજનનું કર્યું હતું આયોજન
Live TV
-
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ મંગળવારે રાષ્ટ્રપતિ ભવનમાં કતારના અમીર શેખ તમિમ બિન હમદ અલ થાનીનું સ્વાગત કર્યું. તેમણે તેમના માનમાં ભોજન સમારંભનું પણ આયોજન કર્યું. બંને નેતાઓએ નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વ્યાપક વાટાઘાટો કરી અને પરસ્પર હિતના પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર વિચારોનું આદાન-પ્રદાન કર્યું.
ભારતની બીજી રાજકીય મુલાકાતે અલ થાનીનું સ્વાગત કરતા રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારતના કતાર સાથેના સંબંધો સદીઓ જૂના ઈતિહાસ સાથે જોડાયેલા છે. કતાર ભારત સાથે પશ્ચિમ એશિયાના વ્યાપારી અને સાંસ્કૃતિક સંબંધોનો એક અભિન્ન ભાગ રહ્યો છે.
રાષ્ટ્રપતિ મુર્મૂએ કહ્યું કે ભારત અને કતાર વચ્ચે બહુપક્ષીય જોડાણ અને સહયોગ સરળતા અને સદ્ભાવના દ્વારા ચિહ્નિત થયેલ છે. બંને દેશો વેપાર, રોકાણ, ખાદ્ય સુરક્ષા, આરોગ્ય, સંસ્કૃતિ અને ઊર્જા ક્ષેત્રે વિશ્વસનીય ભાગીદાર છે. "આપણે નવીનતા, ટેકનોલોજી અને સ્ટાર્ટ-અપ્સના ક્ષેત્રોમાં આપણા સહયોગને વિસ્તૃત કરવા માટે બંને દેશોની સંબંધિત શક્તિઓનો પણ ઉપયોગ કરવો જોઈએ,"
રાષ્ટ્રપતિએ કહ્યું, "બંને દેશોએ ફક્ત આપણા લોકો જ નહીં પરંતુ વિશ્વના તમામ લોકોની શાંતિ, પ્રગતિ અને સમૃદ્ધિ માટે સાથે મળીને કામ કરવું જોઈએ." ભારત-કતારના સંબંધોને 'વ્યૂહાત્મક ભાગીદારી'ના સ્તરે વધારવા અને વધુ ગાઢ જોડાણ માટે એક રોડમેપ તૈયાર કરવા બંને નેતાઓ સંમત થયા.
અગાઉ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કતારના અમીર શેખ તમીમ બિન હમાદ અલ થાનીએ ભારત-કતાર સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા જે વેપાર, ઊર્જા, રોકાણ, નવીનતા, ટેકનોલોજી, ખાદ્ય સુરક્ષા, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
